કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની પેટાચૂંટણીનું ગુરુવારે મતદાન

ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદર સીટની 19મી જૂનના યોજાનારી પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી શમી ગયા હતા. આ બંને સીટ પર ચૂંટણીનો જંગ વધારે રોચક રહેશે. ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી (આપ) અને શંકરસિંહ વાઘેલાના પક્ષે પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ સાથે ઉમેદવારોના સભા-સરઘસ, સાઉન્ડથી લોકોને મુક્તિ મળશે. મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરાશે.
વિસાવદરમાં મતદાનના દિવસે વરસાદની શક્યતા
19 જૂનના વિસાવદર વિધાનસભા ક્ષેત્રના 294 મથક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે. મહત્ત્વપૂર્ણ છે કે 17 વર્ષથી ભાજપ વિસાવદરમાં ચૂંટણી જીતી શક્યુ નથી. 19 તારીખે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. અત્યારે જુનાગઢ હવામાન વિભાગ અને દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા 19 તારીખે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, તેને લઈને મતદાનના દિવસે મતદારો મતદાન મથક સુધી કઈ રીતે પહોંચશે ? તેને લઈને પણ ચૂંટણી લડતાં તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો ભારે વિસામણમાં મુકાતા જોવા મળી રહ્યા છે.
૧૯ જૂનના યોજાનાર મતદાન યોજાશે
કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૫ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૮-૫-૧૯૬૮ના જાહેરનામા અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂનના યોજાનાર મતદાનને અનુલક્ષીને સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.
કડી બેઠકનો કેવો છે ઈતિહાસ?
મહેસાણા જિલ્લાની કડી બેઠક વર્ષ 2009ના નવા સીમાંકન બાદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થઈ છે. નવા સીમાંકન બાદ 2012ની પહેલી ચૂંટણીમાં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હિતુ કનોડિયા સામે માત્ર 1,217 મતે વિજયી બન્યા હતા. 2017 અને 2022માં ભાજપના કરસન સોલંકીએ 2017માં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને 2017માં પ્રવિણ પરમારને હરાવી વિજય હાંસલ કર્યો હતો. અનામત બેઠક પહેલા જ્યારે કડી સામાન્ય બેઠક હતી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 1990 થી 2007 સુધીમાં ચાર વખત વિજયી બન્યા હતા.
કરસન સોલંકી મતવિસ્તારમાં લોકપ્રિય
2022ના વિજેતા કરસન સોલંકીનું 2, ફેબ્રુઆરી – 2025માં નિધન થતા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કાકાના હુલામણાના નામે જાણીતા કરસન સોલંકીનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતુ. 108ના નામે જાણીતા પ્રમાણિક રાજકારણી અને સરકારી સગવડોનો ઉપયોગ ન કરનાર કરસન સોલંકી મતવિસ્તારમાં લોકપ્રિય વ્યક્તિ હતા.
નેવુંમાં નીતિન પટેલે કોંગ્રેસનું પ્રભુત્વ તોડ્યું હતું
કડી વિધાનસભા બેઠક પહેલા પક્ષના આધારે જીતતી હતી. 1990માં ભાજપના નીતિન પટેલે કોંગ્રેસનું પ્રભુત્વ તોડ્યું હતુ. 2017 અને 2022માં ભાજપ પક્ષ કરતા કરસન સોલંકીના ચહેરા, તેમની સાદગી અને પ્રમાણિકતાના કારણે કડી બેઠક પર વિજય હાંસલ કરે છે.
વિસાવદરની બેઠક પર પાટીદારોનો દબદબો
વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ વિજયી બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેંસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા તો 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજી ભેંસણીયા જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રિબડીયા વિજયી બન્યા હતા.
2014ની પેટા ચૂંટણીમાં હર્ષદ રિબડીયા વિજયી રહ્યા હતા
1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં અને પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.
અહીંની બેઠક પરથી કેશુભાઈ પટેલ જીત્યા હતા
2022 પહેલા હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનનાર કનુભાઇ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી બન્યા હતા. આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે, જે નોંધનીય છે.
આ પણ વાંચો - ભરૂચ-અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી ઝડપાયા
મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો કરીને જીતાડે છે
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, 2007 બાદ વિસાવદર બેઠક પર સરકાર વિરોધી પક્ષના ઉમેદવારોને સ્થાનિક મતદારો મહોર મારી જીતાડે છે. જેના કારણે રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સતત સંધર્ષ કરવો પડે છે. રાજકીય પક્ષ, સરકારના કામ કરતા વિસાવદર પર ઉમેદવારનો ચહેરો જ ચાલે છે. સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો કરીને જીતાડે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે વિસાવદર વિધાનસભા બેઠક પર હાર-જીતનો નિર્ધાર થાય છે.