સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી પુલ ધરાશાયી, 10 લોકો નદીમાં ખાબક્યા

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના અલગ અલગ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી, સુરત, ભરૂચ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે વઢવાણ તાલુકાના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. જેને કારણે પુલ પરથી જઇ રહેલા 10 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની કેટલાક મીડિયા અહેવાલોએ નોંધ લીધી છે.

વસ્તડી નજીક નેશનલ હાઇવેથી ચૂડા જઇ રહેલા ડમ્પર અને મોટરસાઇકલ સહિતના વાહનો પુલ તૂટી પડવાને કારણે નદીમાં ખાબક્યા હતા. ઘટનાને પગલે સરપંચ સહિતના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી તરત શરૂ થવાને કારણે 4 લોકોને બચાવી લેવાયા હતા અને બાકીના 6 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ઇજાગ્રસ્તોને હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.

જિલ્લા કલેક્ટર કે.સી.સંપતના જણાવ્યા મુજબ વસ્તડી-ચૂડાને જોડતો આ પુલ 40 વર્ષ જૂનો હતો. ભારે વાહનોની અવરજવર પહેલેથી જ બ્રીજ પર બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે એક ડમ્પર પસાર થઇ રહ્યું હતું તે સમયે ઓચિંતા જ પુલ તૂટી પડ્યો હતો. પુલના નવા બાંધકામ માટે માર્ગ મકાન વિભાગની પણ મંજૂરી મળી ગઇ હતી તેમ કલેક્ટરે જણાવ્યું હતું.