પ્રેમલગ્ન માટે માતા-પિતાની મંજૂરીનો નિયમ બનાવોઃ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજની મુખ્ય પ્રધાન સામે માગણી મળ્યો

અમદાવાદઃ રાજ્યમાં અમુક સેલિબ્રિટીના આંતરજ્ઞાતિય લગ્નો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા સમયથી પ્રેમલગ્નો મામલે વિવાદો થઈ રહ્યા છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ ગુજરાતના લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારની માંગ કરી હતી, જેમાં પુત્રીનાં પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકરના નેતૃત્વમાં સમુદાયના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું અને રજૂઆત કરી હતી.
આ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે જ્યારે કોઈ પુત્રી ઘર છોડીને પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરે છે, ત્યારે તે સમગ્ર પરિવારના ગૌરવ અને ભાવનાત્મક માહોલને અસર કરે છે. સમુદાયે માંગ કરી હતી કે પુત્રીના લગ્ન નોંધણી સમયે માતાપિતાની સહીઓ અને સંમતિ ફરજિયાત બનાવવામાં આવે. બ્રહ્મ સમાજે પાટીદાર સમુદાય દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલી આવી જ માંગને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો હિન્દુ સંસ્કૃતિ અને કુટુંબ વ્યવસ્થાના રક્ષણનો છે.
મીડિયા સાથે વાત કરતા, ઠાકરે કહ્યું હતું કે લગ્ન નોંધણી અને ભાગેડુ લગ્નોને કારણે માતાપિતાને થતી સમસ્યાઓ અંગે, અમે અગાઉ એક ઠરાવ પસાર કર્યો હતો. આજે, અમે તે ઠરાવની એક નકલ મુખ્ય પ્રધાનને સુપરત કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે આવા કિસ્સાઓમાં માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે, અને આ નક્કી કરવા માટે કાયદો લાગુ કરવામાં આવે.
સમાજના અમુક અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઘણી છોકરીઓ ભાવનાત્મક નિર્ણયો લે છે અને પછીથી પસ્તાય છે, પણ જો માતા-પિતાના સહયોગથી તેણે લગ્ન કર્યા હશે તો આવનારી સંભવિત સ્થિતિઓને પહોંચી વળવા તેને કાનૂની અને ભાવનાત્મક મદદ મળશે. માતાપિતાની સંમતિની માંગ સાથે, પ્રતિનિધિમંડળે એવી પણ વિનંતી કરી હતી કે 10% ઈડબલ્યુએસ ક્વોટાના લાભો પંચાયત સ્તર સુધી મળે, જેમાં શૈક્ષણિક, આર્થિક અને રાજકીય લાભોનો સમાવેશ થતો હોય. તેમણે બ્રહ્મ સમાજના યુવાનોના શિક્ષણ અને સામાજિક કલ્યાણને ટેકો આપતી સામુદાયિક પ્રવૃત્તિઓ માટે ગાંધીનગરમાં જમીન ફાળવણી માટે પણ અપીલ કરી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સાંભળી હતી અને ખાતરી આપી કે સરકાર વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે.



