નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર

અમદાવાદઃ રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓ પસંદ કરવામાં આવશે. તારીખ 25 ,26 ,27 એમ ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે. જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. 1 માર્ચ બાદ તમામ પાલિકાને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કબ્જો જમાવ્યો હતો. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસને 11 બેઠકો પર જીત મળી હતી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.
તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો હતો. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો હતો. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી.