ઉબડખાબડ ઉડાનઃ ભાવનગરના વેપારીઓ આ કારણે છે પરેશાન
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/SCC.webp)
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે એક ખાનગી એરલાયન્સ દ્વારા છેલ્લા લગભગ બે વર્ષથી પુના-ભાવનગર અને ભાવનગર-બોમ્બે-ભાવનગર તથા ભાવનગર-પુનાની ફ્લાઈટ ઓપરેટ થાય છે.
આ ત્રણેય ટ્રીપમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક રહે છે આમ છતાં સ્પાઈસ જેટ દ્વારા આ ફ્લાઈટ ટાઈમમાં અનિયમિત અને વારંવાર રદ્દ થાય છે. તેની ખુબ જ પ્રતિકૂળ અસર ફ્લાઈટમાં મુસાફરી કરતા મુસાફરોને થાય છે અને તેમના નિર્ધારિત કામો ખોરવાય જાય છે. દર અઠવાડીયે લગભગ ૨ દિવસ અને આ અઠવાડિયામાં ૧૯.૧૦.૨૦૨૩થી ૨૬.૧૦.૨૦૨૩ સુધી બંધ રહેનાર છે. આ ઉપરાંત આ ફ્લાઈટની અનિયમિતતા અને કેન્સલેશનને કારણે ભાવનગરની એર કનેક્ટિવિટીને પણ વિપરીત અસર થાય છે.
આ ઉપરાંત પત્રમાં વિશેષમાં જણાવાયુ છે કે તાજેતરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહેલ છે અને ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેવા સમયે આ ફ્લાઈટની અનિયમિતતાનાં કારણે મુસાફરોને ખુબ જ તકલીફ પડે છે. પૂરતો ટ્રાફિક મળતો હોવા છતાં એરલાયન્સ દ્વારા ભાવનગર સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે યોગ્ય નથી. આ અંગે ભાવનગરનાં રાજ્યસભાનાં સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને સાંસદ ડૉ.ભારતીબેન શિયાળને પણ યોગ્ય કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.