દિહોરમાં એક સાથે દસ ચિત્તા સળગીઃ આખું ગામ હિબકે ચડ્યું
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં એક બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે. ત્યારે આજે એમ્બ્યુલન્સ મારફત મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા હતા, જ્યા અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. અહીં બધા જ શોકમાં ગરકાવ થયેલા હતા અને કોઈ એકબીજાને દિલાસો આપવાની સ્થિતિમાં ન હતા.
આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોનાં મોત થયાં છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની તેમના વતનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
એમ્બ્યુલન્સ મારફત 12 મૃતદેહને માદરે વતન દિહોર ખાતે સરકારી શાળામાં લવાયા હતા. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવવા હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં પરિવારજનો અને મહિલાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. શ્રદ્ધાંજલિ બાદ તમામ મૃતકોની અંતિમયાત્રાની ક્રિયા કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં બાર પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. અગાઉ પણ ચાર ધામની યાત્રાએ ગયેલા ભાવનગર-પાલિતાણાના પ્રવાસીઓને અકસ્માત નડ્યો હતો જેમાં સાત જણ મૃત્યુ પામ્યા હતા.