આપણું ગુજરાત

પાટનગરને શણગારવાની સાથે લારી-ગલ્લા અને છાપરાંનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તા. ૧૦મીથી તા.૧૨મી જાન્યુઆરી સુધી ત્રણ દિવસ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે. તેની તૈયારીઓ હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. રાજ્યના પાટનગરને નવોઢાની જેમ શણગાર આપવાની સાથે મનપા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ૨૧૩ લારી-ગલ્લા, ૮૮ થાંભલા-થાંભલી, ૭૯ ભૂંગળા, ૬૪૩ હોર્ડિંગ્સ-બોર્ડ, ૧૦૦ જેટલા છાપરાં, ૭૦ લોખંડની ગ્રીલ, ૧૧ પાણીની પરબ, ૩૩ બાકડા ઉપરાંત ૨૪ ટન નાના-મોટા પથ્થરો દૂર કરવામાં આવ્યા હતાં.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ૩૨ દેશના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. તેમ જ ચાર દેશોના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. યુએઈ, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે ૧૮ પાર્ટનર દેશોના ગવર્નર અને પ્રધાનો પણ હાજર રહેવાના છે. બીજી તરફ દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી પણ વાઈબ્રન્ટના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવી રહ્યા છે. તેના પગલે શહેરની સાફ સફાઈથી માંડી રોડ રસ્તાનું સમારકામ, રંગબેરંગી ફૂલ છોડ વાવવા ઉપરાંત વીજળીના થાંભલા પણ ઝળહળતા કરી દેવાયા છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનાર મહાનુભાવોમાં રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ શહેરની છબી ઊભી થાય એ પ્રકારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના બ્યુટીફિકેશનને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button