આસારામની તબિયત લથડી, ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ…

અમદાવાદઃ આસારામની તબિયત લથડી હતી, તેને ઈન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. રેપિસ્ટ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચું છે.
આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે. તેઓ હાલમાં ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.
થોડા દિવસ પહેલા આસારામે કોર્ટ સમક્ષ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી તેમ જ આ માટે તેણે હોસ્પિટલ અને ડોક્ટરના પ્રમાણપત્રો રજૂ કર્યાં હતાં. આ પ્રમાણપત્રોને ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો અને આથી હવે આ અંગે વધુ સુનાવણી 21મી ઓગસ્ટે યોજાશે, એટલે ત્યાં સુધી હંગામી જામીન લંબાવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે કોર્ટે ત્રીજી વખત આસારામના જામીનને લંબાવ્યા હતા, આ પૂર્વે 27 જૂને હાઇ કોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ હાઇકોર્ટે આસારામના જામીન 01 મહિનો સુધી વધાર્યા હતા. ત્યારે આ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર