શું SSG હોસ્પિટલના તબીબોમાં માનવતા મરી પરવારી છે? ઓપરેશન બાદ દર્દીને રસ્તે રઝળતો મુક્યો

વડોદરા: વડોદરા શહેરમાં તબીબી સારવાર માટે અનેક જરૂરિયાતમંદ દર્દીઓના આધારસમી સયાજીરાવ હોસ્પિટલના તબીબોમાં જાણે માનવતા જ મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દુ:ખ તો એ વાતનું છે કે સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ સાથે જે પ્રકારનું વર્તન તબીબો અને સ્ટાફ કરતો હોય છે તેના માટે કાયદામાં કોઇપ્રકારની સજાની જોગવાઇ નથી.

હોસ્પિટલના તબીબોએ એક ગરીબ દર્દીને તેના પગના ઓપરેશન બાદ હોસ્પિટલની બહાર જ તગેડી દીધા હતા. આ દર્દી પગમાં ઓપરેશનના તાજા ઘા સાથે બિનવારસી હાલતમાં રસ્તે રઝળતા થયા હતા. વડોદરા શહેરના વોર્ડ-13ના ભાજપના કાઉન્સીલરના ધ્યાનમાં આ વાત આવતા તેમણે તેમની પૃચ્છા કરી હતી જેમાં દર્દીએ તેમને જણાવ્યું હતું કે ઓર્થોપેડિક વિભાગમાં પગની સારવાર અર્થે દાખલ થયા હતા અને ઓપરેશન બાદ આગળની સારવાર માટેના પૈસા ન હોવાને કારણે તેમને રજા આપી દેવાઇ હતી. અન્ય કોઇ વ્યક્તિ સારસંભાળ લેનાર ન હોવાને કારણે તેઓ હોસ્પિટલ સંકુલની આસપાસ જ રઝળી પડ્યા હતા. જો કે ઓપરેશનના ઘા ખુલ્લા હોવાને કારણે તેમજ સારવાર વ્યવસ્થિત ન થઇ હોવાનું દર્દીની હાલત પરથી દેખાઇ આવતું હતું.
ભાજપ કાઉન્સીલર જાગૃતિબેન કાકાએ તેમને હોસ્પિટલમાં ફરી દાખલ કરાવ્યા હતા અને હોસ્પિટલની બેદરકારી અંગે સ્થાનિક ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલની બેદરકારીની રજૂઆત આરોગ્યમંત્રીને પણ કરાશે તેવું કાઉન્સીલરે જણાવ્યું હતું.