અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઈટ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદથી અયોધ્યા સુધીની ખાસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત બાદ તાજેતરમાં અયોધ્યા સુધીની વિમાની સેવા પણ શરૂ કરવામાં આવી છે બીજી બાજુ વધુ એક ફ્લાઇટની આજે જાહેરાત કરવામાં આવી છે.
સ્પાઇસ જેટ દ્વારા અયોધ્યાની ફ્લાઈટ શરૂ કરાશે. તેમજ સ્પાઇસ જેટ બુધવાર સિવાય ૬ દિવસ ફ્લાઇટ ઓપરેટ કરશે. સવારે ૬ કલાકે ટેકઓફ થશે અને ૮ વાગ્યે અયોધ્યા પહોંચશે. તેમજ ૧ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ સુધી અયોધ્યાની ફ્લાઈટ ઓપરેટ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ભગવાન રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખુબ ઉત્સાહિત છે, ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.
અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. ફ્લાઈટ ઓછામાં ઓછા ૧ કલાક અને ૫૦ મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.