Ambarish Der ભાવનગરથી જ્યારે જૂનાગઢમાં ઉમેદવાર મામલે અટકળોનું બજાર ગરમ

અમદાવાદઃ કૉંગ્રેસના યુવાન અને સક્રિય નેતા અમરિશ ડેર આજકાલમાં ભાજપમાં જોડાઈ તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે હવે ફરી સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની યાદીમાં ફેરફાર થવાની સંભાવના છે. અમરીશ ડેરને ભાજપમાં ખેંચવાનું કારણ ભાવનગરની બેઠક હોવાનું માનવામાં આવે છે. અહીં ઉમેશ મકવાણા સામે જ્ઞાતિનું સમીકરણ જમાવવા અમરિશ ડેરને લોકસભા લડાવવામાં આવે તેવી સંભાવના છે. વર્તમાન સાંસદ Bharti Shiyalને રિપીટ કરવામાં આવશે નહીં, તેવી ચર્ચા પક્ષમાં છે. તો બીજી બાજુ જૂનાગઢમાં પણ ઉમેદવારોના નામની ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપે લોકસભાના 195 ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી દીધી છે, જેમાં ગુજરાતના 15 બેઠકના ઉમેદવારના નામ પણ જાહેર થયા છે. ગુજરાતની 26માંથી 15ના નામ જાહેર થતાં હવે માત્ર 11 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે ત્યારે અટકળોનું બજાર ગરમ છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા Rajesh Chudasama ડૉ. અતુલ ચગની આત્મહત્યામાં કથિત સંડોવણી મામલે વિવાદમાં છે. આથી તેમને ફરી ટિકિટ મળવાની શક્યતા ઘણી જ ઓછી હોવાનું કહેવાય છે. ત્યારે હવે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારની પસંદગી કરવાની છે. જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં કોળી, આહિર અને પટેલ સમાજનું વર્ચસ્વ છે. આ સાથે મુસ્લિમ મતો પણ નોંધપાત્ર સંખ્યામાં છે.
હવે ભાજપમાં જે નામની ચર્ચા છે, તેમાં 2017માં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુનું નામ સામેલ છે, પરંતુ નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ શહેર જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ આ રેસમાં છે અને તેમના નામ પર મહોર લાગી શકે તેમ માનવામાં આવે છે. કોળી ઉમેદવાર ન મળે તો પટેલ ઉમેદવારને ઊભો કરવામાં આવે તેવો વ્યૂહ ભાજપે અપનાવ્યો છે.
બીજી બાજુ કૉંગ્રેસ આહિર અગ્રણી હીરાભાઈ જોટવાને મેદાનમાં ઉતારે તેવી અટકળો ચાલી રહી છે. હીરાભાઈ આહિર સમાજના અગ્રણી છે. Junagadh લોકસભા વિસ્તારમાં આહિર સમાજ પણ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. જોકે સોમનાથના વિધાનસભ્ય વિમલ ચૂડાસમાનું નામ પણ લેવાઈ રહ્યું છે. તેમને મોકો આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આમ જૂનાગઢની બેઠક મહત્વની બની ગઈ છે અને સૌ કોઈ બીજી યાદીની રાહ જોઈ રહ્યા હોવાનું નજીકના સૂત્રો જણાવે છે.