કાળા ડીબાંગ વાદળો કરશે ધરતી પર અભિષેક, અંબાલાલ પટેલે કહ્યું ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ‘ઘાત’…

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નાંદોદમાં 8.66 ઈંચ પડ્યો હતો. દાહોદમાં 7.13 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, ધરમપુરમાં 6.61 ઈંચ, વલસાડમાં 6.50 ઈંચ, જેતપુર પાવીમાં 6.38 ઈંચ, વાપીમાં 6.1 ઈંચ વરસાદ પડ્યો હતો.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
25 જૂનથી વરસાદ મધ્ય પ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે. 26 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા દબાણના લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીમાં જળ સ્તર વધવાની શક્યતા છે.અંબાલાલ પટેલે રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે તે અંગે તેમણે જણાવ્યું છે કે, લગભગ 24થી 30 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રાના દિવસે અને પાંચમ સુધીમાં વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 9 થી 15 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.
આગામી 7 દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય રાજ્યો જેવા કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તો વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.