આપણું ગુજરાત

અમદાવાદના ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલને ₹ ૨૭ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની આગવી ઓળખ ગણાતા ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલ એટલે કે એલિસબ્રિજને નવાં રંગરૂપ આપી તેને વધુ સોહામણો કરવાની દિશામાં મનપા સત્તાવાળાઓ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ સુધીની મજબૂતી આપવા માટે તંત્ર ગંભીર બન્યું છે અને તે દિશામાં હિલચાલ આરંભાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની વચ્ચોવચ થઈને વહેતી સાબરમતી નદી પરનો પહેલો રિવરબ્રિજ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એટલે કે વર્ષ ૧૮૭૦-૭૧માં બ્રિટિશ ઈજનેરોએ રૂ. ૫,૩૯,૨૦૦ના ખર્ચે સ્થળે બનાવ્યો હતો. લાકડાનો આ પુલ લોકોમાં લક્કડિયા પુલ તરીકે પ્રસિદ્ધ થયો હતો. જો કે વર્ષ ૧૮૭૫માં સાબરમતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં આ લક્કડિયો પુલ નદીમાં વહી ગયો હતો. ત્યાર બાદ ગુજરાતી ઈજનેર હિંમતલાલ ધીરજલાલ ભચેચે વર્ષ ૧૮૯૨માં અત્યારના એલિસબ્રિજનું નિર્માણ કર્યું હતું. તેમણે માત્ર રૂ. ૪,૦૭,૫૬૪માં બ્રિટિશ ઈજનેર કરતાં પણ ઓછા ખર્ચે એલિસબ્રિજ તૈયાર કર્યો હતો. અગાઉના લાકડાના પુલના બદલે હિંમતલાલે સ્ટીલનો બ્રિજ તૈયાર કર્યો હતો. જો કે તે વખતના બ્રિટિશ કમિશનર સર બેરો હેલ્બર્ટ એલિસના નામ પરથી આ બ્રિજને એલિસબ્રિજ નામ અપાયું હતું.
જે કાળક્રમે જર્જરિત થવાથી વર્ષ ૧૯૯૭થી વાહનવ્યવહાર માટે બંધ રખાયો છે, જ્યારે મનપા તંત્ર દ્વારા નવો કોંક્રીટનો બ્રિજ વર્ષ ૧૯૯૯માં તૈયાર કરાતાં એલિસબ્રિજનું નવું નામકરણ સ્વામી વિવેકાનંદ બ્રિજ થયું છે. જૂના એલિસબ્રિજને સ્ટ્રેન્થન કરવા માટે મનપા ઈજનેર વિભાગે કવાયત આરંભી હોઈ બ્રિજને થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. તંત્ર દ્વારા રૂ. ૨૭ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે અને ૧૮ મહિનાનો સમયગાળો સમગ્ર કામગીરી માટે અપાયો છે, જે દરમિયાન એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ માટે મજબૂત કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સાથેની વાટાઘાટ દરમિયાન ૩૮.૬૦ ટકા ભાવવધારામાં બે ટકા ઘટાડો કરી ૩૬.૬૦ ટકા ભાવવધારો અપાયો છે. આ કામગીરી પાણીમાં કરવાની છે અને ભારે મશીનરીના ઉપયોગથી થવાની છે
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનો ઐતિહાસિક ગણાતો એલિસબ્રિજ સાબરમતી નદીના બંને કાંઠાને જોડતો બ્રિજ હોઈ તેની લંબાઈ ૪૩૩.૪૧ મીટર છે, જ્યારે બ્રિજની પહોળાઈ ૬.૨૫ મીટર રખાઈ છે. બ્રિજમાં ૩૦.૯૬ મીટરના કુલ ૧૪ સ્પાન બો-સ્ટ્રિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવ્યા છે, જ્યારે બ્રિજના ફાઉન્ડેશનમાં ૧.૮૩ મીટર વ્યાસના બે સિલિંડ્રિકલ સ્ટીલ પાઈલ દરેક સ્પાનના છે જે આપવામાં આવ્યા છે, જેમાં પીઅર પોર્શનમાં ૧.૫૨ મીટર વ્યાસના સિલિંડ્રિકલ પીઅર ક્રોસ બ્રેસિંગ સાથે અપાયા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button