સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPનો એકલા ચલો રેનો નાદ કે રણનીતિ? કોંગ્રેસને શા માટે નકારી?

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી સંભવિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટી (AAP)એ તૈયારીઓ તેજ કરી દીધી છે. જો કે આ દરમિયાન જે મુદ્દા પર વિશેષ ચર્ચા રહે છે તે આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે પણ પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તે કોઈ પણ ગઠબંધન વિના ચૂંટણી લડશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે AAP કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે અને પૂરી તાકાત સાથે એકલા હાથે મેદાનમાં ઉતરશે.
એક મહિનામાં 5 લાખથી વધુ લોકો જોડાયા
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે છેલ્લા એક મહિનામાં 5 લાખથી વધુ લોકો AAP સાથે જોડાયા છે. મોટા ભાગના લોકો ભાજપ અને કોંગ્રેસથી નારાજ છે અને હવે પરિવર્તનની આશામાં AAPમાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે માત્ર 6 દિવસમાં ‘ગુજરાત જોડો જનસભા’ હેઠળ 150થી વધુ સભાઓ યોજવામાં આવી, જેમાં 1 લાખથી વધુ લોકોએ ભાગ લીધો. પાર્ટીનો લક્ષ્યાંક આગામી 2 મહિનામાં 2000થી વધુ આવી સભાઓ કરવાનો છે.
ભાજપ-કોંગ્રેસના 5 હજારથી વધુ નેતા-કાર્યકરો AAPમાં જોડાયા
ગઢવીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના 5 હજારથી વધુ નેતાઓ, કાર્યકરો, સામાજિક કાર્યકરો, ખેડૂત નેતાઓ અને વેપારીઓ AAPમાં જોડાઈ ચૂક્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા મિસ્ડ કોલ નંબર પર દરરોજ 10 થી 15 હજાર લોકો જોડાઈ રહ્યા છે, જેનાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.
જન્માષ્ટમીએ ઉમેદવારી ફોર્મ જાહેર કરાશે
ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે આગામી જન્માષ્ટમીના દિવસે પાર્ટી ઉમેદવારો માટે ફોર્મ બહાર પાડશે. આ ફોર્મ એવા યુવાનો, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હશે, જેઓ રાજકારણમાં આવીને પરિવર્તન લાવવા માંગે છે, પરંતુ અત્યાર સુધી કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. તેમણે કહ્યું કે AAP એવા તમામ લોકોને મંચ આપશે જેઓ ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી પરેશાન છે. ગઢવીએ અંતમાં દાવો કર્યો કે હવે ગુજરાતની જનતાને માત્ર AAP પાસેથી જ આશા છે, અને આ જ કારણ છે કે પાર્ટી કોઈ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં.