Gujarat માં એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાનો દાવો, આમ આદમી પાર્ટીએ ગૃહ મંત્રીનું રાજીનામું માંગ્યું…

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાઓ બની હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે. તેમજ જો ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા અને યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. અમારી માંગ છે કે સરકાર કાયદો બનાવે, જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે.
આ પણ વાંચો : ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત યોજાશે RSSનો શતાબ્દી મહોત્સવ, ગાંધી વિચારકોએઉઠાવ્યો વાંધો
ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા દિવસ પહેલા ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી હતી. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા દસ વર્ષની બાળકી ઉપર નરાધમ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાહેંધરી આપી હતી.
ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે
આ ઉપરાંત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ દીકરી અને તેના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ડોક્ટરો સાથે અમે વાત કરી. ડોક્ટરો દીકરીને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દીકરી બચી જાય, પરંતુ અમારો સવાલ છે કે ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે.
અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે
જ્યારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર બે એફઆઇઆર કરી હતી અને હું 17 તારીખે જ ઝઘડિયા આવવા માટે નીકળ્યો હતો પરંતુ પોલીસે મને બે થી ત્રણ દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશવા દીધો નહીં. અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી, ૧૫ સભ્યોની નિમણૂક…
ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે
અમે ઈચ્છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને આ પરિવારને ન્યાય મળે. આ પહેલા પણ દાહોદમાં ખૌફનાક ઘટના ઘટી ગઈ, આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ પરંતુ કોઈ દીકરીને ન્યાય નથી મળી રહ્યો. અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે.