આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આર્કટિકથી સીધું ગુજરાતનું અતિથિ! નળ સરોવરમાં દેખાયું દુર્લભ ‘સબાઇન ગલ’ પક્ષી

અમદાવાદ: વિશ્વભરના પક્ષીપ્રેમીઓ માટે એક અતિ રોમાંચક સમાચાર સામે આવ્યા છે! આર્કટિક પ્રદેશનું દુર્લભ પક્ષી ‘સબાઇન ગલ’ (Sabine’s Gull) ગુજરાતના સુપ્રસિદ્ધ નળ સરોવરનું મહેમાન બન્યું છે. ગઈકાલે, એટલે કે 30 મે 2025 ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ, નળ સરોવર વન્યજીવ અભયારણ્ય – રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને આ અનોખું પક્ષી જોવા મળ્યું હતું. આ ઘટના ગુજરાતના પક્ષીજગત માટે એક ગૌરવપૂર્ણ અને આનંદદાયક ક્ષણ છે.

આ પક્ષી આર્દ્રભૂમિ (વેટલેન્ડ)માં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓ તેમજ મુલાકાતી પક્ષીપ્રેમીઓએ નિહાળ્યું હતું. નળ સરોવર પક્ષી અભયારણ્ય, આણંદ વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.સકીરા બેગમે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું, કારણ કે ‘સબાઇનનો ગુલ’નું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, આવો નઝારો જવલ્લે જ જોવા મળે છે. આ અદ્ભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં જોવા મળ્યો હતો. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ ગનિ સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી.

એક વિશિષ્ટ આર્કટિક ગલ

‘સબાઇન ગલ’ એક નાનું, સુંદર ગલ (પક્ષી) છે કે જે તેના આકર્ષક દેખાવના કારણે જાણીતું છે. સંવર્ધન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ નેપ (ડોક)થી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે કે જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ તે બે ગુલમાંનું એક છે કે જેની ચાંચ કાળી, નોક પીળી તેમજ પૂંછ દાંતાવાળી હોય છે.

‘સબાઇનન ગલ’ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. અન્ય પક્ષીઓની જેમ ‘સબાઇન ગલ’નો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય, પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે.

નળ સરોવર અને ભારતીય પક્ષીશાસ્ત્રી માટે મહત્વ

નળ સરોવર ભારતના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે મહત્વના આર્દ્રભૂમિ અભયારણ્યોમાંનું એક છે કે જે ફ્લેમિંગો, પેલિકન્સ, બતક અને વાડર જેવી અનેક સ્થળાંતરક અને સ્થાયી પક્ષી જાતિઓ માટે સુરક્ષિત આશરો પૂરો પાડે છે. ‘સબાઇન ગલ’નું અચાનક દેખાવું આ અભયારણ્યની વૈશ્વિક સ્તરે પક્ષી જીવન માટેની મહત્વની ઓળખમાં વધારો કરે છે અને નળ સરોવરનું વૈશ્વિક પક્ષીશાસ્ત્રમાં સ્થાન વધુ મજબૂત કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button