ભાદરવી પૂનમના મેળામાં અત્યાર સુધીમાં 73 ટનથી વધુ કચરો એકત્રિત

અંબાજી: આપણી પરંપરાઓમાં પ્રકૃતિનું મહત્વ રહેલું છે. હિંદુ ધર્મના દેવ સ્થાનો નદીઓન કિનારે, સમુદ્ર તીરે, જંગલો કે ડુંગરોની ટોચ પર છે. પરંતુ ધીમે ધીમે આપણાં ધર્મસ્થાનોના ઉત્સવો અને તહેવારોમાં પ્રકૃતિનું પ્રદૂષણ પણ હવે પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે હાલમાં જ પૂર્ણ થયેલો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આઠ દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.
અંબાજી ખાતે દર વર્ષે ભાવ ભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત 34 લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને માં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. 12 થી 19 સપ્ટેમ્બર-2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાની આ કામગીરી અંતર્ગત તા. 30 સપ્ટેમ્બર-2024 સુધીમાં અંદાજિત 700 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.

આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટીકની ખાલી બોટલની જગ્યાએ 5000 સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી 50 થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.
ઉલેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા “અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા-2024નું આયોજન ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફેક્ચર્સ એસોશીએશન તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું હતું. 120 જેટલા સ્વચ્છતા સેનાનીઓ સાથેની આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન ગત તા. 12 સપ્ટેમ્બર-2024ના રોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે GPCB-ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યું હતું.