અમદાવાદમાં ગરમીથી 2 નવજાતના મોત, શહેરમાં હીટસ્ટ્રોકના 200થી વધુ કેસ નોંધાયા
![](/wp-content/uploads/2024/05/Delhiની-આ-બેઠકએ-બે-બોલીવૂડ-સ્ટારને-મિત્રોમાંથી-દુશ્મન-બનાવી-દીધા-હતા.jpg)
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અસહ્ય ગરમીથી પરિસ્થિતી એટલી વિકટ બની છે કે ગરમી સંબંધિત બિમારીઓ પણ વધી છે. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે.
ગરમીને કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક સહિતના કેસમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં 2 નવજાત શિશુનું મોત થયું છે. તે જ પ્રકારે લૂ લાગવી, માથુ દુખવું, બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક સહિતના લક્ષણો ધરાવતા 200થી વધુ કેસ માત્ર બે દિવસમાં જ સામે આવ્યા છે. હાલ જે 200 જેટલા દર્દીઓ દાખલ છે તેમાંથી કેટલાકની હાલત ગંભીર જોવા મળી રહી છે.
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. વધુ ગરમીના કારણે કિડની ફેઈલ થઈ જતા બાળકોના મોત થયા છે. બંને બાળક અમદાવાદનું હોવાનો સુપ્રિન્ટેન્ડેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે. જેમાં 70થી વધુ લોકોએ હાઈફિવર હોવાથી 108 મારફતે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) હસ્તકની જુદી જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારી અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
તે ઉપરાંત ગરમી સંબંધિત બિમારી જેવી કે પેટમાં અસહ્ય દુઃખાવો થયો, ઝાડા-ઉલ્ટી, હાઈફીવર અથવા સર્વાઈકલ હેડેક જેવી બિમારીને લઈને સારવાર મેળવવા 108ના કોલમાં પણ વધારો થયો છે. 15 મેથી 22 મે સુધીમાં 108 મારફતે 208 જેટલા દર્દીઓને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાંઆવ્યા હતા. 22 મેએ ચક્કર આવતા મૂર્છિત થઈ પડી જવાનો પણ એક બનાવ સામે આવ્યો હતો.
ગઈકાલે પણ અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં ગરમીના કારણે મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે.