ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
કાર્યક્રમમાં રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને મુખ્ય પ્રધાનના હસ્તે સન્માનિત કરાશે

ગાંધીનગરઃ પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કિસાન સન્માન સમારોહ દરમિયાન દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯ મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
Also read : Ahmedabad થી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, ભીડને નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ સંદર્ભે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્ય પ્રધાનના હસ્તે કૃષિ ભવન-ગાંધીનગર ખાતે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરનું ઇ-લોકાર્પણ તેમજ રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ થશે. આ ઉપરાંત સમારોહ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને વિવિધ કૃષિ એવોર્ડ મેળવેલ ખેડૂતોને મુખ્ય પ્રધાનનના હસ્તે સન્માનિત કરવામાં આવશે, તેમ કૃષિ પ્રધાને ઉમેર્યું હતું.
આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ કિસાન સન્માન સમારોહનું ગ્રામ્ય વિસ્તારો અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં પ આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે.
Also read : Gujarat માં 10 દિવસ બાદ ટેકાના ભાવે કપાસની ખરીદી ફરી શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, PM-કિસાન અંતર્ગત ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ૧૮ હપ્તાના માધ્યમથી કુલ રૂ. ૩.૪૬ લાખ કરોડની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૮ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૮,૮૧૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.