એકસ્ટ્રા અફેર: ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ થવું જોઈએ

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે હાથ ધરેલા ‘ઑપરેશન સિંદૂર’ વખતે આખો દેશ એક થઈ ગયો હતો. દેશના સામાન્ય નાગરિકોએ તો ‘ઑપરેશન સિંદૂર’ને વધાવીને નરેન્દ્ર મોદી સરકારના પગલાને વખાણેલું જ પણ રાજકીય પક્ષોએ પણ મોદી સરકારને ટેકો આપેલો. એ વખતે બધા રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મામલે કોઈ રાજકારણ ના રમવું એવું નક્કી કરેલું, પણ આ નિર્ધાર એક મહિનામાં તો હવા થઈ ગયો છે.
ભાજપે ‘ઑપરેશન સિંદૂર’ના નામે રાજકીય લાભ ખાટવા માટે ઘેર ઘેર સિંદૂર મોકલવા સહિતના કાર્યક્રમો નક્કી કરી નાંખ્યા છે તો વિપક્ષોએ ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે સવાલો ઉઠાવીને સંસદનું વિશેષ સત્ર બોલાવીને ચર્ચાની માગણી કરી નાંખી તેમાં આ મુદ્દે જોરદાર રાજકીય કુસ્તીબાજી શરૂ થઈ ગઈ છે. ‘ઑપરેશન સિંદૂર’ મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં કૉંગ્રેસ સહિતના ઈન્ડિયા (I.N.D.I.A) બ્લોકના પક્ષોની બેઠક મળી તેમાં 16 વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક પછી તમામ પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ચીનનું નવું સંગઠન, વૈશ્વિક સ્તરે ચીનની તાકાત વધી
વિપક્ષોનું કહેવું છે કે, ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે ભારતના લોકોને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે અને સરકાર ઘણા સવાલોના જવાબો નથી આપી રહી. આ અંગે ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જરૂરી છે. કેન્દ્ર સરકારે ઑપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ મૂકવા માટે સર્વપક્ષી સાત ડેલિગેશનને જુદા જુદા દેશોમાં મોકલ્યા છે. આ બધાં ડેલિગેશન આઠ જૂન સુધીમાં ભારત પાછાં ફરશે તેથી તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની વિપક્ષોની માગ છે.
વિપક્ષોએ સ્પષ્ટ રીતે ક્યા મુદ્દે સરકાર લોકોને અંધારામાં રાખી રહી છે તેનો ફોડ નથી પાડ્યો, પણ વિપક્ષી નેતાઓનાં નિવેદનો પરથી લાગે છે કે, બે મુદ્દા મહત્ત્વના છે. પહેલો મુદ્દો ભારતે સ્વીકારેલા યુદ્ધવિરામનો છે. વિપક્ષોએ જે મુદ્દા ઉઠાવ્યા છે તેમાં એક મુદ્દો ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયાં હોવાનો દાવો છે. ‘ઑપરેશન સિંદૂર’ના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થઈ રહ્યું હતું ત્યારે જ અચાનક ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ પર સંમત થયા તેનાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયેલું.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના તુક્કાએ ભારત માટે તક ઊભી કરી દીધી
આશ્ર્ચર્યનાં બે કારણ હતાં. પહેલું કારણ એ હતું કે, ‘ઑપરેશન સિંદૂર’ પછી ભારતીય લશ્કરના આક્રમક અભિગમના કારણે પાકિસ્તાન માર ખાઈ રહ્યું હતું ત્યારે જ ભારતે આક્રમણ તીવ્ર બનાવીને પીઓકે કબજે કરવાનો ઉદ્દેશ પાર પાડવાના બદલે યુદ્ધવિરામ સ્વીકારી લીધો હતો. બીજું કારણ એ હતું કે, ભારત અને પાકિસ્તાન સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરે એ પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરીને અમેરિકાના દબાણના કારણે યુદ્ધવિરામ થયો હોવાનો દાવો કરેલો.
વિપક્ષો આ મુદ્દે ચર્ચા ઈચ્છે છે કેમ કે ટ્રમ્પ હજુ પણ એવી જ વાતો કરે છે. આરજેડીના મનોજ ઝાએ કહ્યું જ છે કે પહેલગામ હુમલા પછી ‘ઑપરેશન સિંદૂર’ થયું તેમને લોકોએ વધાવ્યું હતું, પણ એ પછી કેટલીક ચિંતાજનક વાતો બહાર આવી છે. ટ્રમ્પનું નામ લીધા વિના ઝાએ કહ્યું છે કે, એક દેશના પ્રમુખ રોજ ‘સરપંચાયત’ કરી રહ્યા છે. તેમણે પોતે યુદ્ધવિરામ કરાવ્યું છે એવાં 15 દિવસમાં 13 નિવેદનો આપ્યા છે. તેનાથી સરકારને દુ:ખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુ:ખ થયું હોય કે ન થયું હોય પણ દેશની લાગણીને ઠેસ પહોંચી છે. આ પીડા સોશિયલ મીડિયા, ટીવી ડિબેટમાં વ્યક્ત ના કરી શકાય તેથી સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સ્ટારશિપની સફળતા માનવજાતનો ઈતિહાસ બદલી નાખશે
આ માગણીમાં દમ નથી કેમ કે ભારત સરકાર પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે, કોઈની મધ્યસ્થીથી યુદ્ધવિરામ સ્વીકારાયો નથી, પણ પાકિસ્તાને સામેથી આતંકવાદ બંધ કરવાની ખાતરી આપી તેથી ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો છે. સરકારે એ પણ કહ્યું જ છે કે, પાકિસ્તાન ફરી આતંકવાદી હુમલો કરાવશે તો ભારત ફરી પાકિસ્તાન પર હુમલો કરશે. નરેન્દ્ર મોદીએ પોતે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ વાત કરી પછી કોઈ ચર્ચા કરવાની રહેતી નથી. ટ્રમ્પ તો ભેજાંગેપ છે તેથી એ તો રોજ નવી નવી વાતો કર્યા કરે છે. તેના કારણે આપણે થોડાં સંસદનાં સત્ર બોલાવ્યાં કરવાનાં હોય ?
બીજો મુદ્દો પાકિસ્તાન સામેના આક્રમણમાં ભારતીય જેટને થયેલાં નુકસાનનો છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા હોવાના પાકિસ્તાનના દાવા અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે 31 મેના રોજ સિંગાપોરમાં આડકતરી રીતે ભારતીય જેટ તોડી પડાયાં હોવાનો સ્વીકાર કર્યો. જનરલ ચૌહાણે કહેલું કે, વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યાં, પણ આ વિમાનો શા માટે તોડી પાડવામાં આવ્યા એ મુદ્દો મહત્ત્વનો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર CDS અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરીને કૉંગ્રેસે લખેલું કે, આપણા ફાઇટર જેટનું નુકસાન થયું હોવાનું જનરલ ચૌહાણે સ્વીકાર્યું છે તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ. આ માગણી વાહિયાત છે કેમ કે યુદ્ધમાં નુકસાન તો થાય જ. દુનિયામાં કોઈ યુદ્ધ માર ખાધા વિના લડાતું નથી. યુદ્ધમાં બંને પક્ષને નુકસાન થતું હોય છે ને તેની સંસદમાં ચર્ચા ના કરવાની હોય.
‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે ચાલી રહેલા રાજકારણે એક વાત સાબિત કરી દીધી છે કે, ભારતના રાજકારણીઓ માટે રાજકીય ફાયદાથી વધારે મહત્ત્વનું કંઈ નથી અને આપણા રાજકારણીઓથી વધારે દંભી બીજું કોઈ નથી. આ બધા રાજકારણીઓએ ‘ઑપરેશન સિંદૂર’ પછી દેશની એકતાના મોટા મોટા દાવા કરેલા પણ આ એકતા એક મહિનો પણ ટકી નથી. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરીને આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મારી નાખ્યા તેનો બદલો લેવા માટે ભારતે સાત મેના રોજ ‘ઑપરેશન સિંદૂર’ હાથ ધરેલું.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…
ભારતીય લશ્કરના જવાનોએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી અડ્ડા પર હવાઈ હુમલા કર્યા હતા. ઈન્ડિયન આર્મીએ 100 આતંકવાદીઓને ઠાર માર્યા ત્યારે સૌએ તેને વધાવેલું, પણ ‘ઑપરેશન સિંદૂર’ના મહિનો પણ થયો નથી ત્યાં તો રાજકારણીઓ તેમની જાત પર આવીને કૂતરાં-બિલાડાંની જેમ લડી રહ્યા છે. લડાઈનો ઉદ્દેશ પણ રાજકીય લાભ ખાટવા સિવાય બીજો કોઈ જ નથી એ જોઈને આઘાત લાગે છે. ભગવાન જ હવે તો આ દેશને આવા નેતાઓથી બચાવે.