એકસ્ટ્રા અફેર

કંગનાના ગાંધીજી વિશેના લવારા સામે ભાજપ કેમ ચૂપ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

થોડા સમયની શાંતિ પછી ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પાછી વર્તાઈ છે. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિન એટલે કે ગાંધી જયંતી હતી. ગાંધીજીની જન્મજયંતી પર કંગના રણૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું છે કે, દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે, આ ભારત માતાના પુત્રને.

આ પોસ્ટની નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો છે. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિન છે તેથી આખો દેશ બાપુ અને શાસ્ત્રીજી બંનેને નમન કરે છે. ગાંધીજી અને શાસ્ત્રીજી બંને મહાન નેતા હતા ને બંને આદરણીય છે તેથી આખો દેશ તેમને નમન કરે છે. કંગનાએ પણ લાલ બહાદુર શાસ્ત્રીને નમન કર્યા, તેમના યોગદાનને વખાણ્યા તેમાં કશું ખોટું નથી.

કંગનાને ગાંધીજી આદરણીય ના લાગતા હોય ને તેમને માન આપવાની જરૂર નથી એવું લાગતું હોય તો એ તેના પોતાના વિચારો છે ને એ વિચારો તેણે પોતાની પાસે રાખવા જોઈએ, જાહેરમાં આ બકવાસ વિચારો વ્યક્ત કરીને ગાંધીજી પર કટાક્ષ કરવાની જરૂર નહોતી. ગાંધીજી પર કટાક્ષ કરીને કંગનાએ પોતાની હલકી માનસિકતા વ્યક્ત કરી છે. એક કહેવત છે કે, તમને સૂરજ પર ધૂળ નાંખો તો સૂરજને કંઈ ના થાય પણ ધૂળ તમારા પર આવીને જ પડે. ગાંધીજી વિશે બકવાસ કરનાર દરેકને આ કહેવત એકદમ લાગુ પડે છે ને કંગનાને પણ લાગુ પડે જ છે.

કમનસીબે ભાજપ કંગનાના લવારા પર ચૂપ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે ને બીજી તરફ કંગના મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે. નરેન્દ્ર મોદી માનો કે કંઈ ના બોલે પણ ભાજપે તો કંગનાને રોકવી જોઈએ પણ ભાજપનો કોઈ ટોચના નેતા કંગનાને કશું કહેવા તૈયાર નથી. એક માત્ર પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કંગનાની ઝાટકણી કાઢીને કહ્યું છે કે, કંગનાએ ગાંધીજી વિશે આપેલું નિવેદન ખૂબ જ શરમજનક છે.

ગ્રેવાલે કટાક્ષ પણ કર્યો કે, કંગનાને મહાત્મા ગાંધી પસંદ નથી પણ લાલ બહાદુરને પસંદ કર્યા છે. કંગનાને કોઈએ કહેવું જોઈએ કે લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજીના અનુયાયી હતા અને તેમની વિચારધારા પ્રમાણે ચાલતા હતાં. હવે કંગના શિષ્યનું સન્માન કરી રહી છે જ્યારે તેમના માર્ગદર્શકનું અપમાન કરી રહી છે એ શાણપણ નથી. ગ્રેવાલે તો ત્યાં સુધી કહ્યું કે, કંગનાના વિચારો નાથુરામ ગોડસેના વિચારો છે ને મને લાગે કે મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ છે પણ ભગવાન કંગનાને સદબુદ્ધિ આપે.

કંગનાની કૉંગ્રેસ પણ ઝાટકણી કાઢી છે પણ તેનાથી કંગનાને કદાચ ફરક પડતો નથી. કંગના પહેલાં પણ આ રીતે ગાંધીજી વિરુદ્ધ લવારા કરી ચૂકી છે અને મોં-માથા વિનાની વાતો કરી ચૂકી છે. તેનું કારણ એ કે, કંગનાનું કોઈ વાંચન નથી, કોઈ અભ્યાસ નથી, કોઈ બુદ્ધિમત્તા નથી. વોટ્સએપ યુનિવર્સિટી પર પિરસાતો એંઠવાડ ખાઈને ઓકનારી જમાતમાંથી કંગના આવે છે ને તમે એંઠવાડ ખાઓ એટલે ઊલટી જ કરવાનાં, કંગના પણ ઊલટીઓ પર ઊલટીઓ કરીને ગંધ ફેલાવી રહી છે.

કંગના કઈ હદે બુદ્ધિહીન છે તેનો પુરાવો એ છે કે, બહુ પહેલાં કંગનાએ દાવો કર્યો હતો કે, આઝાદ હિંદ ફોજના સંસ્થાપક સુભાષ ચંદ્ર બોઝ અને શહીદ ભગતસિંહને મહાત્મા ગાંધીનું સમર્થન મળ્યું નહોતું. કંગનાએ ગાંધીજીને સુભાષચંદ્ર બોઝના વિરોધી પણ ગણાવ્યા હતા. આ બાઈને એ પણ ખબર નથી કે, સુભાષબાબુએ જ પહેલી વાર ફાધર ઓફ નેશન એટલે કે રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીને લોકો પહેલાં મહાત્મા ગાંધી અને બાપુ તરીકે ઓળખતા હતા પણ ૪ જૂન, ૧૯૪૪ના રોજ, સુભાષચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી દેશવાસીઓને સંદેશ આપતી વખતે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા હતા. આ નામ આખા દેશે અપનાવ્યું અને આઝાદી પછી ભારત સરકારે પણ આ નામને માન્યતા આપી હતી. ગાંધીજીના મૃત્યુ પછી વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું ત્યારે કહેલું કે, રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા.

આ પહેલાં કંગનાએ મહાત્મા ગાંધીએ આપેલા ‘અહિંસાના મંત્ર’ની પણ મજાક ઉડાવીને કહેલું કે,કોઈ એક ગાલ પર તમાચો મારે ત્યારે બીજો ગાલ આગળ કરવાથી ભિક્ષા મળે, આઝાદી નહીં. કંગનાએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, દેશને અસલી આઝાદી ૨૦૧૪માં મળી જ્યારે ૨૦૧૭માં મળેલી આઝાદી તો ભીખ હતી. ભાજપના જ સાંસદ વરુણ ગાંધીએ આ વાત સામે વાંધો લીધેલો. વરુણે સવાલ કરેલો કે, દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ?

આ સવાલ સામે કંગનાએ ટ્વીટ કરીને વરુણને જવાબ આપેલો કે, મેં સ્પષ્ટ કર્યું છે કે, ૧૮૫૭માં આઝાદીની પહેલી લડાઈ લડાઈ હતી કે જેને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને પોતાના અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધાં. પછી એક સદી પછી ગાંધીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપી દીધી…..જાઓ અને રડ્યા કરો. ગાંધીજી આ દેશનાં રાષ્ટ્રપિતા છે ને કંગનાએ આપણા રાષ્ટ્રપિતા માટે ગાંધીજી શબ્દ પણ નહોતા વાપર્યા, માત્ર ‘ગાંધી’ લખ્યું હતું.

ટૂંકમાં કંગનાની માનસિકતા ગાંધીજી વિરોધી છે ને આ માનસિકતા છાસવારે દેખાયા કરે છે. તેનાથી ગાંધીજીને કંઈ ફરક પડતો નથી. કંગના જેવાં બહુ આવ્યા ને ગયાં, ગાંધીજીને વરસોથી આ રીતે ગાળો અપાય છે પણ તેના કારણે ગાંધીજી રાષ્ટ્રપિતા મટી ગયા નથી ને લોકો હજુય ગાંધીજીને પૂજે જ છે. તેનું કારણ એ કે, ગાંધી એક માણસ નહીં પણ એવી વિચારધારા કે જેને કોઈ કદી ખતમ નહીં કરી શકે. ગાંધીજીની હત્યા ભલે થઈ પણ તેમની વિચારધારા નથી મરી. બલ્કે આ વિચારધારા વધારે પ્રબળ બની છે. કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા વરસોથી ગાંધીજી સામે મનફાવે એવી વાતો કર્યા કરે છે પણ તેના કારણે ગાંધીજી અપ્રિય થયા નથી
ગાંધીજીની લોકપ્રિયતા આજેય અકબંધ છે ને તેના કારણે સંઘની પેદાશ જેવા નરેન્દ્ર મોદી જેવા નેતાઓએ પણ ગાંધીજીનાં ગુણગાન ગાવા પડે છે. કમનસીબે મોદી સહિતના નેતાઓને ગાંધીજીનું નામ વાપરવામાં જ રસ છે, ગાંધીજી સામે ગંદી વાતો કરનારાંને ઠપકારીને ચૂપ કરી દેવામાં રસ નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત