મનોરંજન

કેમ રાજ કપૂર રીગલ સિનેમામાં હવન કરતા? જાણો હિન્દી સિનેમાના શોમેનની રોચક વાતો

મુંબઈઃ ભારતમાં ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ વિકસિત થયો છે. ફિલ્મ ઉદ્યોગે અનેક એવા સુપરસ્ટાર બનાવ્યાં છે. જેમાં એક નામ છે રાજ કપૂર. રાજ કપૂર માત્ર એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા જ નહોતા, પરંતુ સિનેમાની દુનિયામાં એક દૂરંદેશી વ્યક્તિત્વ પણ હતા. તેઓ ભવિષ્યના ફિલ્મ જગતને પારખી શકતા હતાં. તેમની આ દૂરંદેશીએ જ તેમને ‘બોબી’, ‘મેરા નામ જોકર’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી ફિલ્મો બનાવવા માટે પ્રેરણા આપી હતી. જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ પણ રહી હતી.

ફિલ્મ નિર્માતા તરીકે રાજ કપૂરનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ

આજના દિવસે 1988માં આ દુનિયાને અલવિદા કહેનારા રાજ કપૂરે સિનેમાના વારસાનું એવું બીજ વાવ્યું કે આજે તેમની ચાર પેઢીઓ પણ તેનાથી સમૃદ્ધ છે. એવું કહેવાય છે કે રાજ કપૂર (Raj kapoor) જે કંઈ પણ કરતા, તેની પાછળ એક નક્કર વિચાર અને ઊંડી સમજ રહેતી હતી. તેમની પાસે જ્ઞાનનો અમાપ ભંડાર હતો. એક પ્રયોગશીલ અને સંવેદનશીલ ફિલ્મ નિર્માતા તરીકે તેમણે આપેલું યોગદાન આજે પણ એટલું જ મહત્વનું છે.

‘રીગલ સિનેમા’ સાથે રાજ કપૂરને હતો અનોખો લગાવ

સિનેમાની વાત કરવામાં આવે તો, અત્યારે મલ્ટિપ્લેક્સનો યુગ ચાલી રહ્યો છે. લોકોને અત્યારે મલ્ટિપ્લેક્સ (Multiplex)માં ફિલ્મો જોવી વધારે પસંદ હોય છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સિંગલ સ્ક્રીન થિયેટરો ધૂમ મચાવતા હતાં. કેટલાક થિયેટર એટલા પ્રતિષ્ઠિત હતા કે તેમની ઓળખ પોતે જ એક ઇતિહાસ બની ગઈ છે. આવું જ એક થિયેટર દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું ‘રીગલ સિનેમા’ (Regal Cinema) હતું. આ ઐતિહાસિક થિયેટરમાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને લોર્ડ માઉન્ટબેટન જેવી હસ્તીઓ ફિલ્મો જોવા આવતી હતી. રાજ કપૂર ‘રીગલ સિનેમા’ને પોતાનું લકી ચાર્મ માનતા હતા.

રાજ કપૂર મોટાભાગની ફિલ્મોનું પ્રીમિયર ‘રીગલ સિનેમા’માં જ કરતા

દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત આ ઐતિહાસિક સિનેમા હોલને હિન્દી સિનેમાના મહાન શોમેન રાજ કપૂર (The great showman Raj Kapoor)ને આ થિયેટર સાથે ઊંડો લગાવ હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજ કપૂર તેમની મોટાભાગની ફિલ્મોનું પ્રીમિયર અહીં કરતા હતા. ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં, તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે સિનેમા હોલમાં હવન કરાવતા હતા. જાણે કોઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવી રીતે આખા થિયેટરને ફૂલોથી શણગારવામાં આવતું હતું. જ્યારે રાજ કપૂરની ફિલ્મ રિલિઝ થતી હતી, ત્યારે રીગલ સિનેમામાં 10-10 દિવસનું એડવાન્સ બુકિંગ થતું હતું, તેથી દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ હતો.

આપણ વાંચો:  કમલ હાસન ભાષાકીય વિવાદમાં ફસાયા, કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગ

રાજ કપૂરના વિચારો આજે પણ ફિલ્મ મેકર્સ માટે પ્રેરણારૂપ

રાજ કપૂરને હિન્દી સિનેમાના સફળ અને દિગ્ગજ અભિનેતા માનવામાં આવે છે. તેઓ ભરે અત્યારે હયાત નથી પરંતુ તેમના વિચારો આજે પણ ફિલ્મ મેકર્સ માટે પ્રેરણારૂપ છે. રાજ કપૂર એક સર્જનાત્મક ફિલ્મ નિર્માતા જ નહોતા, પરંતુ તેમને કર્મ અને ફિલોસોફીની ચર્ચા કરવાનું પણ ખૂબ ગમતું. રાજ કપૂર જીવન અને સિનેમાને ઊંડાણપૂર્વક સમજતા હતા. ફિલ્મોની વાત કરવામા આવે તો, 1947 માં ફિલ્મ ‘મધુસુદન’ થી રાજ કપૂરે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે પછી ‘આશિયાના’, ‘દાસ્તાન’, ‘શ્રી 420’, ‘દિલ હી તો હૈ’, ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મો આપી હતી, જે આજે પણ ક્લાસિક માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, રાજ કપૂરના કારણે કપૂર પરિવારને આજે પણ બોલિવુડમાં ખૂબ માન આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button