જાણીતા અભિનેતાએ 48 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘેરો શોક
![The well-known actor said goodbye to the world at 48 years, deep grief in the South industry](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/Mumbai-Samachar-by-Preksha-75.jpg)
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું (Daniel Balaji has passed away) નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હૃદયરોગથી અવસાન થયું હતું. તેઓ 48 વર્ષના હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક અભિનેતાનું નાની ઉંમરમાં અવસાન ઇન્ડસ્ટ્રી માટે મોટો ફટકો છે.
ગઈકાલે તેમને છાતીમાં દુખાવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેને બચાવી શકાયા નહીં. અભિનેતાના નિધનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા ડિરેક્ટર મોહન રાજાએ લખ્યું- આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેઓ મારા માટે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાવાની પ્રેરણા હતા. ખૂબ સારા મિત્રો હતા. હું તેની સાથે કામ કરવાનું ચૂકી ગયો છું. તેમની આત્માને શાંતિ મળે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/image-1052.png)
એ માનવું મુશ્કેલ છે કે હસતા ડેનિયલ બાલાજી હવે આપણી વચ્ચે નથી. તેમના મૃત્યુના સમાચારથી ઘણા ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા છે. રડવાના કારણે પરિવારજનોની હાલત ખરાબ છે. ડેનિયલના અંતિમ સંસ્કાર આજે તેમના પુરસાઈવલકમ નિવાસ સ્થાને કરવામાં આવશે.
તેણે તેની કારકિર્દીની શરૂઆત કમલ હાસનની ફિલ્મ મરુધનાયાગમથી કરી હતી, જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. આ પછી તે ટેલિવિઝન તરફ વળ્યા હતા. સિરિયલ ‘ચિઠ્ઠી’એ તેને લોકોમાં ફેમસ બનાવી દીધા હતા.
પોતાના ફિલ્મી કરિયરમાં ડેનિયલ બાલાજીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ડેનિયલે તમિલ અને મલયાલમ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેઓ વેટ્ટૈયાડુ વિલાઈયાડુ, પોલાધવમ અને વાદા ચેન્નાઈ જેવી ફિલ્મોમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા છે. સાઉથ સિનેમામાં તેણે કમલ હાસન, થાલાપતિ વિજય અને સૂર્યા જેવા ઘણા મોટા નામો સાથે સ્ક્રીન શેર કરી છે.