ઉમરાવ જાન ફિલ્મની એક મોટી જવાબદારી આ ગુજરાતીએ લીધી હતીઃ જાણો છો?

અભિનેત્રી રેખાની 1981માં રિલિઝ થયેલી ફિલ્મ ઉમરાવ જાન ફરી ચર્ચામાં આવી છે કારણ કે 27મી જૂનથી તે દેશના અમુક થિયેટરોમાં રિ-રિલિઝ થઈ છે. આ પહેલા ગુરુવારે ફિલ્મની એક પ્રિમિયર પાર્ટી યોજાઈ, જે બોલીવૂડમાં ચર્ચાનો વિષય બની અને સોશિયલ મીડિયામાં તેના જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
આ ફિલ્મના ડિરેક્ટર મુઝફફર અલીએ પોતાની બુક ઝિક્ર માં આ વિશેની ઘણી વાતો લખી છે. જેમાં ફિલ્મ માટે રેખાનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવ્યુંથી માંડી ફિલ્મ બની ત્યારસુધીની ઘણી રસપ્રદ વાતો તેમણે શેર કરી છે. આ ફિલ્મને ક્લાસિક બનાવવામાં ઘણાનો ફાળો છે, જેમાં એક ગુજરાતીનું નામ પણ છે.

આ ફિલ્મની એક મોટી જવાબદારી એક ગુજરાતી પર હતી. ડિરેક્ટર તો ફિલ્મ શૂટ કરી લે. અઢી કલાકની ફિલ્મ માટે તે તમારી સામે પાંચ કલાકનું મટિરિયલ ઠાલવી દે, પછી તેને એક વાર્તાની જેમ લોકો સામે મૂકવાનું કામ કરે છે એડિટર. પડદા પાછળનો મોટો કલાકાર એડિટર હોય છે અને આ એડિટિંગનું કામ એક ગુજરાતીના ખભ્ભે હતું જેમનું નામ હતું ભગવતી પ્રસાદ. અલીએ બુકમાં લખ્યું છે કે તેઓ એક પાક્કા ગુજરાતી હતા અને જીવનમાં ક્યારેય રેખાને મળ્યા ન હતા, પરંતુ એક એક સિન એડિટ કરતા સમયે તેઓ ચતુરાઈપૂર્વક કહેતા કે ફાડી નાખીશ અને ખરેખર રેખાના સૌદર્યથી માંડીને એક એક સિનમાં તેમણે પોતાનું કૌશ્લ્ય બતાવ્યું.
આવું જ કામ કેમેરામેન પરવીન ભાટ અને સાઉન્ડ રેકોર્ડિસ્ટ બી કે ચતુર્વેદીએ કર્યું હતું. જોકે ભગવતી પ્રસાદ વિશે વિશેષ કઈ માહિતી મળી નથી, મુઝફ્ફર અલીના પુસ્તકમાં તેમનો ઉલ્લેખ છે. ઉમરાવ જાનની બે જાન હતી એક રેખા અને બીજું તેનું સંગીત, ખય્યામના સંગીતે આશા ભોંસલેને એક નવી જ ઊંચાઈ પર મૂકી દીધાં. આજે પણ આ ફિલ્મના ગીતો ઈન આંખો કી મસ્તી કે, જુસ્તજુ જિસકી થી, યે ક્યા જગેહ હૈ દોસ્તો, દિલ ચીઝ કયા હૈ આપ મેરી, ઝિંદગી જબ ભી મિલતી હૈ આજે પણ એટલા જ સંભળાય છે અને ગવાય છે.
ફિલ્મમાં રેખા સાથે શૌકત કૈફી (ખાનુમ), દીના પાઠક (બુઆ હુસૈની), જાગીરદાર (મૌલવી), ગૌહર મિર્ઝા (નસિરુદ્દીન શાહ), ફારૂખ શેખ (નવાબ સુલતાન), રાજ બબ્બર (ફૈઝ અલી) તરીકે પણ એટલા જ શાનદાર હતા. ફિલ્મને 29માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ચાર એવોર્ડ્સ મળ્યા હતા જેમાં રેખાને શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ આર્ટ ડિરેક્શન મંઝુર, શ્રેષ્ઠ ગાયિકા આશા ભોંસલે ને શ્રેષ્ઠ સંગીતકાર ખય્યામનો સમાવેશ થાય છે. ફિલ્મફેરમાં પણ આ ફિલ્મનો દબદબો રહ્યો હતો.