સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’

મુંબઈઃ એકતા કપૂરના ક્લાસિક કલ્ટ શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની સિક્વલ આવવાની છે. આ સિરિયલની સિક્વલમાં મૂળ કલાકારો પણ જોવા મળશે. આ પહેલા, સિરિયલમાં તુલસી વિરાણીની ભૂમિકા ભજવનાર સ્મૃતિ ઈરાની અને મિહિર વિરાણીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમર ઉપાધ્યાયનું રી-યુનિયન જોવા મળ્યું હતું. હવે અમરે શોના વર્ષો પછી સ્મૃતિ ઈરાની સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો છે.
અમર ઉપાધ્યાય અને સ્મૃતિ ઈરાની ઘણા વર્ષો પછી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ નિર્માતા એકતા કપૂરના ઘરે મળ્યા હતા. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અમર ઉપાધ્યાયે વર્ષો પછી સ્મૃતિ ઈરાનીને મળવાની અને તેમની સાથેની વાતચીત વિશે વાત કરી હતી. અમર ઉપાધ્યાયે કહ્યું- ‘જ્યારે હું તેને એકતા કપૂરના ઘરે મળ્યો ત્યારે એવું લાગ્યું કે સમય વીત્યો જ નથી. અમે બિલકુલ એવા જ છીએ.
તેણે (સ્મૃતિ ઈરાની) મને મજાકમાં પૂછ્યું કે તું બુઢ્ઢો ક્યારે થઈશ ? અને મેં કહ્યું હજુ વાર છે. તે હંમેશા જમીન પર રહી છે અને બિલકુલ બદલાઈ નથી. અમારી વાતચીતો બિલકુલ એવી જ હતી જેવી 25 વર્ષ પહેલા થતી હતી.’
અભિનેતાએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ વિશે આગળ વાત કરી. તેમણે કહ્યું- ‘આ વાર્તા દરેક પાત્રના પાછા ફરવા અને તેમના સંબંધોના વિકાસને ન્યાયી ઠેરવે છે. મિહિર અને તુલસી વચ્ચેનો પ્રેમ પરિપક્વ થયો છે. અમારા બધાનો અભિનેતા તરીકે વિકાસ થયો છે અને આ વાર્તામાં પ્રતિબિંબિત થાય છે.’
તમને જણાવી દઈએ કે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સ્ટાર પ્લસ પર વર્ષ 2000 માં શરૂ થઈ હતી અને વર્ષ 2008 સુધી ટીવી પર ચાલી હતી. આ સિરિયલ દ્વારા સ્મૃતિ ઈરાની તુલસી વિરાણી તરીકે ઘર ઘરમાં લોકપ્રિય થઈ ગઈ હતી.
આ પણ વાંચો - શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? અભિનેત્રીની વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
હવે તે આ સીરિયલની સિક્વલમાં ફરી એકવાર એ જ ભૂમિકામાં જોવા મળશે. સ્મૃતિ ઈરાની ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હોવાથી તેણે ઝેડ પ્લસ સુરક્ષા સાથે ક્યુંકી સાસ ભી કભી બહુ થીનું શૂટિંગ શરૂ કરી દીધું છે.