મનોરંજન

એનએસડીથી OTT સુધીની સફર: ‘કરમચંદ’થી ‘મકબૂલ’ સુધીની પંકજ કપૂરની અભિનય યાત્રા રહી રંગીન, જાણો ઉતારચઢાવ

ભારતીય સિનેમા અને રંગભૂમિના એક એવા મશહૂર કલાકાર, જેમણે દરેક પાત્રમાં જીવ રેડી દીધો છે, તેવા પંકજ કપૂર આજે એટલે કે 29 મે, 2025ના 70 વર્ષના થયા છે. તેમને કોઈ ઔપચારિક પરિચયની જરૂર નથી; કોઈ તેમને ‘કરમચંદ’ તરીકે ઓળખે છે, કોઈ ‘ઓફિસ ઓફિસ’ના મુસદ્દીલાલ તરીકે, તો કોઈ વિશાલ ભારદ્વાજની ‘મકબૂલ’ના અબ્બાજી તરીકે યાદ કરે છે. તેમની અભિનય કલાનો આધાર કોઈ ચોક્કસ માધ્યમ પર નિર્ભર નથી, પછી ભલે તે મંચ હોય, ટેલિવિઝન, ફિલ્મો કે OTT પ્લેટફોર્મ હોય, તેઓ દરેક જગ્યાએ પોતાની હાજરીથી પાત્રમાં પ્રાણ પૂરે છે.

29 મે 1954ના રોજ જન્મેલા પંકજ કપૂરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. રંગભૂમિમાં તેમનો ફાળો અતુલ્ય રહ્યો છે – તેઓ એક શાનદાર અભિનેતા, દિગ્દર્શક અને લેખક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. આજે પણ તેઓ થિયેટર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીના એક લાઈક પર એક છોકરીના 2 મિલિયન ફોલોવર્સ વધી ગયા, કોણે કર્યો આવો દાવો?

ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં ફિલ્મ ‘આરોહણ’થી

તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં ફિલ્મ ‘આરોહણ’થી થઈ હતી. ત્યારબાદ તેમણે ટેલિવિઝન અને સિનેમા બંનેમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા. તેમણે દરેક રોલમાં એવો અભિનય કર્યો કે પાત્ર અમર થઈ ગયું – પછી ભલે તે ગંભીર પંડિતજી હોય, રમુજી મુસદ્દીલાલ હોય કે ખૌફનાક અબ્બાજી. પંકજ કપૂરના નામે એક ફિલ્મફેર એવોર્ડ અને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ છે. તેમની એક્ટિંગમાં સહજતા, ઊંડાણ અને એક ખાસ પ્રકારની સાદગી છે જે તેમને અન્ય કલાકારોથી અલગ પાડે છે.

1979માં નીલિમા અઝીમ સાથે લગ્ન કર્યા

પંકજ કપૂરનું થિયેટર સાથે જોડાયેલું જીવન તો રસપ્રદ છે જ પરંતુ તેમનું અંગત જીવન પણ રસપ્રદ રહ્યું છે. તેઓ 19 વર્ષના હતા, ત્યારે તેમણે NSDમાં પ્રવેશ લીધો, જ્યાં તેમની મુલાકાત નીલિમા અઝીમ સાથે થઈ. નીલિમા તે સમયે કથ્થકની વિદ્યાર્થીની હતી. આ દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ અને પછી 1979માં બંનેએ લગ્ન કરી લીધા. બે વર્ષ બાદ પુત્ર શાહિદ કપૂરનો જન્મ થયો. જોકે કેટલાક વર્ષો પછી તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને વર્ષ 1984માં બંનેના છૂટાછેડા થઈ ગયા.વિરાટ કોહલીના એક લાઈક પર એક છોકરીના 2 મિલિયન ફોલોવર્સ વધી ગયા, કોણે કર્યો આવો દાવો?

છૂટાછેડા સમયે શાહિદની ઉંમર માત્ર ત્રણ વર્ષ

જ્યારે પંકજ કપૂર અને નીલિમા અઝીમના છૂટાછેડા થયા, ત્યારે શાહિદની ઉંમર માત્ર ત્રણ વર્ષ હતી. માતા-પિતાના અલગ થવાથી માત્ર પરિવાર જ વિખરાયો નહીં, પરંતુ શાહિદનું જીવન પણ સરળ રહ્યું નહીં. આ ઘટનાએ તેમના અંગત જીવનમાં અનેક સંઘર્ષો ઊભા કર્યા, પરંતુ પંકજ કપૂર એક કલાકાર તરીકે પોતાની કારકિર્દીમાં સતત આગળ વધતા રહ્યા અને પ્રેક્ષકોના દિલમાં સ્થાન બનાવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button