પાકિસ્તાન પાર કરી ગયેલી નાગપુરની મહિલાને પાછી લાવ્યા બાદ બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડી

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસ શહેરની રહેવાસી મહિલાને પાછી લાવી છે, જે આ મહિનાની શરૂઆતમાં કારગિલથી પાકિસ્તાન ગઈ હતી અને પછી પડોશી દેશે તેને સ્વદેશ પરત મોકલી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મહિલા સુનિતા જામગાડે (43)ને બુધવારે મોડી રાત્રે નાગપુર લાવવામાં આવી હતી, ત્યારબાદ તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મધ્યરાત્રિ દરમિયાન એક વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
‘નાગપુર પોલીસની ચાર સભ્યોની ટીમે અમૃતસરમાં તેમના સમકક્ષો પાસેથી જામગાડેની કસ્ટડી લીધી હતી. ટીમે મંગળવારે રાત્રે અમૃતસરથી દિલ્હી ટ્રેન દ્વારા તેની સાથે મુસાફરી કરી હતી અને બુધવારે મોડી રાત્રે આ ટીમ નાગપુર પહોંચી હતી,’ એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પંજાબના અમૃતસરમાં પોલીસે શનિવારે અટારી-વાઘા સરહદ દ્વારા પાકિસ્તાની અધિકારીઓ દ્વારા સ્વદેશ પરત મોકલવામાં આવ્યા બાદ જામગાડે સામે ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: નાગપુરની નર્સ પાકિસ્તાન શા માટે પહોંચી? LoC પાર કરવા પાછળનું રહસ્ય?
‘અમૃતસરમાં નોંધાયેલી ઝીરો એફઆઈઆરના આધારે જામગડેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કપિલ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી,’ એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-5) નિકેતન કદમે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીઓ પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિઓ સાથેના તેના સંબંધો અંગે પૂછપરછ કરવાનો ઇરાદો ધરાવે છે, જેમની સાથે તે ઘણા મહિનાઓથી સંપર્કમાં હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ખાસ કરીને એ જાણવામાં રસ ધરાવે છે કે તેણે પાકિસ્તાની નાગરિકો સાથે કેવા પ્રકારની માહિતી શેર કરી હશે, જેમાં જુલ્ફીકાર અને પાદરી તરીકે ઓળખાતા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.
કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સંત કબીર નગરની રહેવાસી જામગાડે ચોથી મેના રોજ તેના 13 વર્ષના પુત્ર સાથે નાગપુરથી કારગિલ પહોંચી હતી, જ્યાંથી તે 14 મેના રોજ પાકિસ્તાન ગઈ હતી. પોલીસે જણાવ્યું છે કે તે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરતા પહેલાં તેના પુત્રને પાછળ છોડી ગઈ હતી.
સરહદ પાર કર્યા પછી પાકિસ્તાની દળોએ તેને પકડી લીધી હતી અને શનિવારે વાઘા સરહદ પર ભારતીય અધિકારીઓને સત્તાવાર રીતે સોંપવામાં ન આવે ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખી હતી, એમ તેમણે જણાવ્યું હતું.