
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીની તબિયત લથડતાં તેમને મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે. આખો પરિવાર મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થયો હતો.
91 વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત લથડતા તેમને મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર મળતાં જ આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે અને તેઓ મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થયા હતા. મુકેશ અંબાણી-નીતા અંબાણી અને અનિલ અંબાણી-ટીના અંબાણી ખૂબ જ દુઃખી જોવા મળ્યા હતા. આખો પરિવાર કોકિલાબેનની તબિયતને લઈને ચિંતિત છે.
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં ડોક્ટર્સની ટીમ સતત કોકિલાબેનની તબિયતને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. અંબાણી પરિવાર દ્વારા જોકે આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ પરિવારના નજીકના સભ્યોએ આ સમાચારની પુષ્ટિ કરતાં હોસ્પિટલમાં કોકિલાબેન અંબાણીની સારી રીતે દેખભાલ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1955માં કોકિલાબેને ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને તેમના ચાર સંતાનોમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દિપ્તી સાલગાંવકરનો સમાવેશ થાય છે. કોકિલાબેન અંબાણી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી સાથે રહે છે. આ વર્ષે જ કોકિલાબેન અંબાણી પરિવાર સાથે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં જોવા મળ્યા હતા.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો રિલાયન્સમાં કોકિલાબેન અંબાણીનો મોટો હિસ્સો છે. તેમની પાસે 1,57,41,322 શેર છે, જે કંપનીની કુલ ઈક્વિટીની આશરે 0.24 ટકા છે. આ સિવાય તેમની કુલ સંપત્તિ 18,000 કરોડ રૂપિયા જેટલી હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યો છે.