મનોરંજન

Happy Birthday: એક થપ્પડ સે ક્યા હોતા હૈ, આ અભિનેત્રીને કોઈ પૂછે તો ખબર પડે

ઘણીવાર ઘરેલું હિંસા સમયે કે માતા-પિતા કે શિક્ષકો બાળકોને મારતા હોય ત્યારે એકાદ થપ્પડ મારવી તો સાવ સામાન્ય વાત છે. આપણે ત્યાં પતિ પત્નીને ક્યારેક એકાદ થપ્પડ મારે, મમ્મી કે પપ્પા કે શિક્ષક બાળકને સીધ કરવાના બહાને એકાદ થપ્પડ મારી દે તો કોઈ ધ્યાન પણ દેતું નથી. એક થપ્પડ કે દસ થપ્પડ બન્ને હિંસાના જ ભાગ છે, પરંતુ આપણે ત્યાં તેને ગંભીરતાથી લેવાતા નથી. થોડા સમય પહેલા તાપસી પન્નુની આવેલી ફિલ્મ થપ્પડમાં પણ પતિની એક થપ્પડથી નારાજ પત્ની જંગે ચડે છે ત્યારે પણ આવી કમેન્ટ થતી હતી કે એક થપ્પડ માટે આટલો ઘોંઘાટ? પણ એક થપ્પડથી પણ ઘણીવાર જીવન ફરી જતું હોય છે. આપમે જે હીરોઈનની વાત કરી રહ્યા છીએ તેમની જિંદગી એક થપ્પડથી જ બદલી ગઈ.

વાત છે વિતેલા જમાનાની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી લલિતા પવાર (Lalita Pawar) ની. લલિતા પવારને આપણે વઢિયાણી સાસુ, વડક વડક કરતી બાઈ કે પછી ઉપરથી કઠોર
અને અંદરથી નરમ એવી પડોશી, કે ઘરમાલિક કે પછી કેળા વેચવાવાળી તરીકે ઓળખીએ અને કાં તો પછી રામાયણની મંથરા તરીકે ઓળખીયે છીએ. આ સાથે જ્યારે તેમને યાદ કરો ત્યારે તેમનો કાણી આંખવાળો ચહેરો પણ યાદ આવશે. આ આંખ તેમને જન્મજાત ન હતી, પણ એક ઘટના બની હતી. રાજ કપૂર સહિત ઘણા અભિનેતાઓની ફિલ્મોમાં મહત્વનો રોલ અદા કરનારી લલિતા પવાર સાથે જોડાયેલો છે આ એક થપ્પડનો કિસ્સો.

Lalita Pawar

ફિલ્મ જંગ-એ-આઝાદીના શૂટિંગ દરમિયાન લલિતા પવાર નવા આવેલા અભિનેતા ભગવાન દાદા સાથે એક સિન ભજવી રહ્યા હતા. ભગવાન દાદાએ લલિતા પવારને એક જોરદાર થપ્પડ મારવાની હતી. નવા આવેલા ભગવાન દાદાએ આ થપ્પડ એવી તો જોરદાર મારી કે લલિતા પવારની એક આંખ હંમેશાં માટે આડી થઈ ગઈ અને તેમનાં કાનનો પડદો પણ ફાટી ગયો.

જોકે લલિતા પવારે હિંમત હાર્યા વિના ફિલ્મો કરી, પરંતુ ત્યારબાદ તેને મુખ્ય અભિનેત્રી તરીકેના રોલ ઓછા મળ્યા. લલિતાએ 700 કરતા વધારે ફિલ્મમાં કામ કર્યું છે, પણ હા સપોર્ટિંગ આર્ટિસ્ટ તરીકે.

Lalita Pawar

આજે 18 એપ્રિલ, 1916ના રોજ નાશિકના યેવલા ખાતે તેમનો જન્મ થયો હતો. લલિતાનો જન્મ મંદિરની બહાર થયો હતો અને તેનું નાનપણનું નામ અંબા હતું. શ્રીમંત પરિવાર હોવા છતાં લલિતા બહુ ભણી ન હતી. નવ વર્ષની ઉંમરે તેણે સાયલન્ટ ફિલ્મ રાજા હરિશચંદ્રમાં કામ કર્યું હતું. લલિતાનું જીવન દુખમાં જ ગયું. ફિલ્મ શૂટિંગ દરમિયાન આંખ ગઈ ને લક્વો મારી ગયો.

Lalita Pawar

લલિતા હિંમત કરીને ઊભી થઈ. તેનાં લગ્ન ફિલ્મ ડિરેક્ટર ગણપત રાવ સાથે થયા પણ ગણપતને લલિતાની નાની બહેન સાથે અફેર થયો ને લગ્ન તૂટ્યા. ત્યારબાદ લલિતાને મોઢાનું કેન્સર થયું. ફેબ્રુઆરી, 1998માં પુણે ખાતેના બંગલામાં તે મૃત અવસ્થામાં મળ્યા હતા. મોત ટાણે કોઈ તેમની સાથે ન હતું. જોકે 700 ફિલ્મ કરી લલિતા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ગઈ અને કરોડો ચાહકોનાં હૃદયમાં પણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button