દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગ: પંકજ ત્રિપાઠી અને મણિરત્નમે કર્યો સપોર્ટ, આપ્યું આ નિવેદન…

સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’માં દીપિકા પાદુકોણનું સ્થાન તૃપ્તિ ડિમરીએ લીધું છે. વાંગા દ્વારા આ જાહેરાત કરવામાં આવી ત્યારથી દીપિકા પાદુકોણ સતત ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાની ‘સ્પિરિટ’ માટે કામના સમય સંબંધિત કેટલીક માંગણીઓ હતી. નવી મમ્મી હોવાથી અભિનેત્રીએ 15-20 કલાક કામ કરવાનો ઇનકાર કરી દિવસમાં 8 કલાક કામ કરવાની માંગ કરી.

સંદીપ વાંગાને દીપિકાની માંગ પસંદ ન આવી અને તેમણે દીપિકાની જગ્યાએ બીજી અભિનેત્રીને લઇ લીધી. દીપિકા પાદુકોણ પછી હવે પંકજ ત્રિપાઠીએ પણ ઇન્ડસ્ટ્રીના કામના સમય પર ટિપ્પણી કરી છે.
ઉદ્યોગના વર્ક કલ્ચર પર ટિપ્પણી કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે વ્યક્તિએ સીમાઓ નક્કી કરવાનું શીખવું પડશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે કામના કલાકો નિશ્ચિત હોવા જોઈએ. ‘હમણાં, હું ‘ના’ કહેવાનું શીખી રહ્યો છું. કારણ કે દરેકને ખબર હોવી જોઈએ કે મર્યાદા ક્યાં છે – કે આ જ રેખા છે અને તેનાથી આગળ વધી શકાતું નથી. તે એક નમ્ર ‘ના’માં છે.

અભિનેતાએ એ દિવસોને યાદ કર્યા જ્યારે તેમના કામનું સમયપત્રક સતત લંબાયેલું રહેતું હતું અને ઘણી વખત તેમને 16-18 કલાક કામ કરવું પડતું હતું. પંકજ ત્રિપાઠીએ કહ્યું- ‘કામ લંબાતું રહેતું. 16 કલાક, 18કલાક થઈ જતા, હું હજુ પણ કામ કરતો. હું એમ પણ કહેતો કે, અભિનેતા ચાલ્યો ગયો છે. મજુર રહી ગયો છે. હવે કહું છું ‘ના, આટલું બધું નહીં થાય, અમે આ માટે પ્રતિબદ્ધ હતા, અમારી પ્રતિબદ્ધતા પૂર્ણ થઈ ગઈ છે. હવે આભાર. જે બાકી છે, તે આપણે કાલે કરીશું.”
દરમિયાન જાણીતા ફિલ્મ નિર્માતા મણિરત્નમ પણ દીપિકા પાદુકોણને ટેકો આપ્યો હતો. પોતાની માંગણીઓને લઈને વિવાદોમાં ઘેરાયેલી દીપિકાને ટેકો આપતા તેમણે કહ્યું- ‘મને લાગે છે કે તેની માંગણી એકદમ વાજબી છે. મને ખુશી છે કે તે માંગવાની સ્થિતિમાં છે.

મને લાગે છે કે એક ફિલ્મ નિર્માતા તરીકે તમારે કાસ્ટ કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પૂછવાનું બિલકુલ ગેરવાજબી નથી, પણ એક મોટી જરૂરિયાત છે. મને લાગે છે કે આ પ્રાથમિકતા હોવી જોઈએ. તમારે તેને સ્વીકારવું પડશે, સમજવું પડશે અને તેની આસપાસ કામ કરવું પડશે.’