HAPPY BIRTHDAY: માત્ર 600 રૂપિયા ન હોવાથી ક્રિકેટર ન બની શક્યો ને બની ગયો કલાકાર

હિન્દી સિનેમાજગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે યુવાન વયમાં જ દુનિયાને અલવિદા કહી દીધું, પણ દર્શકોના હૃદયમાં આજે પણ તેઓ હેમખેમ વસે છે. આટલી મોટી કલાકારોની ફોજ વચ્ચે પણ અમુક કલાકારોની ખોટ સાલતી હોય છે અને આમાના એક છે ઈરફાન ખાન. આજે તેમનો જન્મદિવસ છે. તે આપણી વચ્ચે નથી, પણ તેમની યાદો આજે પણ મહેંકે છે.
7 જાન્યુઆરી, 1967માં જયપુરમાં જન્મેલા ઈરફાનની અભિનય કળા જોઈને કોઈ માનવા તૈયાર ન થાય કે તેમને અભિનયમાં રૂચિ ન હતી અને તેઓ ક્રિકેટર તરીકે પોતાની જાતને આગળ લાવવા માગતા હતા. જયપુરની ટીમના સૌથી યુવાન ઑલરાઉન્ડર ઈરફાનની પસંદગી બીસીસીઆઈએ સી કે નાયડૂ ટ્રોફી માટે કરી હતી, પરંતુ એક શહેરથી બીજા શહેર જવા માટેના રૂ. 600 તેમની પાસે ન હતા આથી તેઓ જઈ શક્યા ન હતા. આ વાત તેમણે એક ઈન્ટરવ્યુમાં કહી હતી. જોકે દિલ્હી ખાતે એનએસડીની પરીક્ષામાં જવા માટે પણ ઈરફાન પાસે રૂ. 300 ન હતા જે તેમની બહેને તેમની માટે ક્યાકથી મેળવ્યા હતા. ઈરફાનના પિતા ટાયરનું કામકાજ કરતા હતા અને ઘર પરિવાર મુશ્કેલીમાં જીવન ગુજારતો હતો.
આવી સ્થિતિમાંથી નીકળેલા ઈરફાને મુંબઈ આવીને પણ ઘણો સંઘર્ષ કર્યો. ટીવી સિરિયલોમાં નાનકડાં રોલથી શરૂ કરી ખૂબ જ સુંદર ફિલ્મો તેણે આપી છે. હિન્દી મીડિયમ તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સાબિત થઈ. કોરોનાકાળ દરમિયાન 2020માં કૉલન ઈન્ફેક્શનથી તેમનું મૃત્યુ થયું. જોકે તેમની ખોટ પુરી શકે તેવો અભિનેતા આજના સમયમાં કોઈ નથી અને લગભગ આવનાર સમયમાં પણ નહીં આવે.
ઈરફાનને તેમના જન્મદિવસ પણ સ્મરણાંજલિ