અહિંસા પરમો ધર્મ

ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં સ્વાધ્યાયને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવી જીવોના ગુણમાં અહિંસાનો સમાવેશ કરે છે, તેને સમજીએ.
અહિંસા શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે, જ્યાં ‘હિંસા’ એટલે જડ કે ચેતન માટે નુકસાન અથવા આઘાતજનક પ્રવૃત્તિ ! અને ‘અ’ એનો અર્થ નકારાત્મક તરીકે ‘નહીં’ થાય છે. આમ, અહિંસા એટલે હિંસા કરવી નહીં.
શાસ્ત્રીય અર્થમાં કોઈપણ જીવ પ્રાણી માત્રને મન, કર્મ વચન દ્વારા નુકસાન ન પહોંચાડવું એ અહિંસા. ભારતમાં ઉપનિષદ કાળથી આપણા ઋષિમુનિઓએ અહિંસાનો માર્ગ જ અપનાવ્યો છે.
ભારતમાં ઉદ્ભવેલ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પણ અહિંસાના હિમાયતી છે. ભગવાન સ્વામિનારાયણ સ્વલિખિત શાસ્ત્ર શિક્ષાપત્રીમાં 201 શ્ર્લોકમાં ત્યાં સુધી કહે છે કે ‘કુમતિ વાળા દુષ્ટ જન હોય તે ગાળ દે અથવા મારે તો સહન જ કરવું….. તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતન કરવું અને તેનો ભૂંડું થાય તેવો સંકલ્પ ન કરવો.’ તેમની આ વિશાળ અહિંસક ભાવનાથી મધ્યકાલીન યુગમાં શાંતિ પ્રિય અને આધ્યાત્મિક સમાજની રચના થઈ. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી જેવી હિંસા યુક્ત પ્રથાઓ નાબૂદ થઈ.
મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગ પર ચાલીને હથિયાર વગરની ક્રાંતિ કરી ભારતને આઝાદી અપાવી. માર્ટીનલ્યુથર કિંગે પણ એ જ સિદ્ધાંત પર યુએસએમાં અહિંસામય શાંતિ યુક્ત સંઘર્ષ કર્યો. સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા પણ વેર ભાવના ભૂલી અહિંસાનો જ માર્ગ અપનાવ્યો. આ બધા નેતાઓએ અહિંસક ક્રાંતિ દ્વારા પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું કારણ કે “wars are never won by weapons.’
આજે વિશ્વમાં ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ છે. નાના નાના દેશો મોટા મોટા શસ્ત્રોથી લડી રહ્યા છે. પથ્થર યુગથી આજના આધુનિક યુગ સુધી માણસ લડતો જ આવ્યો છે. પથ્થર, તીર કામઠા, તલવાર, બંદૂક, બોમ્બ ને હવે મિસાઈલ…. આવા યુદ્ધનો ક્યારેય અંત નથી…. Wars never bring victory. વર્તમાન કાળમાં એ યુદ્ધ લાંબા ચાલે છે. તેનું પરિણામ છે આર્થિક પાયમાલી, આક્રંદ, મૃત્યુ અને તબાહી. રચનાત્મક સમાજની નવરચના માટે માણસે પોતે જાગ્રત થવું પડશે. શાંતિના હિમાયતી નેલ્સન મંડેલાએ ખૂબ સુંદર વાત કરી છે.. “peace is not just the absence of conflict, peace is the creation of an environment where all can flourish regardless of race, colour, creed, religion gender, class, caste or any other social makers of differences…’ શાંતિ એટલે સંઘર્ષનો અંત જ નહીં પણ એક એવું સુંદર વાતાવરણ કે જેમાં બધા જ મનુષ્ય કુટુંબ ભાવનાથી, સંપીને જીવન જીવતા હોય…
જોકે હિંસાનો જન્મ માનવના મનમાંથી થાય છે. અહમ, ઈર્ષા અને લોભ એ હિંસાના મુખ્ય ત્રણ કારણો છે. એટલે જ એડોલ્ફ હિટલરના એક વિચિત્ર વિચારથી બીજા વિશ્વયુદ્ધનો જન્મ થયો. તેને થોડા સમય માટે સામ્રાજ્ય મળ્યું પણ ખરું, પણ ક્ષણમાં જ તેના સામ્રાજ્યની સાથે તે પણ નામશેષ થઈ ગયો. આમ, હિંસાથી ક્યારેય જીત થતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે દયા અને પ્રેમથી જીત નિશ્ર્ચિત છે. સમ્રાટ અશોક પોતે કરેલા યુદ્ધથી નિરાશ થઈ ગયેલા અને અહિંસાનો માર્ગ અપનાવી પોતાના રાજ્યમાં શાંતિ સ્થાપી. તે આજે દરેકના હૃદયમાં અમર છે.
એટલે શાસ્ત્રો કહે છે કે મનસા, વાચા અને કર્મણા હિંસા તો ન જ કરવી. ક્યારેક કટુ વચનો પણ વ્યક્તિના હૃદયને ઘાતક દુ:ખ પહોંચાડતા હોય છે. આ પણ એક પ્રકારની હિંસા જ છે જેમાંથી પારિવારિક સંઘર્ષો જન્મતા હોય છે.
આપણ વાંચો: આખા જગતનો અવાજ સાંભળતો મનુષ્ય, પોતાના આત્માનો અવાજ સાંભળતો નથી…
આ સાથે જ માંસાહાર પણ એક પ્રકારની હિંસા છે. શા માટે આપણી હોજરી ને કબ્રસ્તાન બનાવી? પ્રાણીઓની હાય લઈને ભોજન કરીએ તો મનમાં અશાંતિ થાય. તેથી તો શાસ્ત્રમાં શુદ્ધ અને શાકાહારી ભોજનનો મહિમા કહ્યો છે જેનાથી મનમાં શુદ્ધ વિચાર રહે.
એટલા માટે જ વિશ્વવંદનીય ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સ્વલિખિત શાસ્ત્ર સત્સંગ દીક્ષામાં કહે છે ‘ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઈત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષા કે ક્રોધે કરી કરીને પણ હિંસા ન કરવી.’
‘અહિંસા પરમો ધર્મ:’ એક નૈતિક સંદેશ જ નહીં પણ આજના યુગની અનિવાર્યતા છે. અહિંસા એ માત્ર હિંસા ન કરવાનું આચરણ નથી, પરંતુ તે કરુણાની ભાવના, મહત્ત્વાકાંક્ષા વિનાનું જીવન અને સહનશીલતાનાં મૂલ્યોનું પણ પ્રતીક છે. આપણી શાળામાં બાળકોને આ અનિવાર્યપણે ભણાવવું જોઈએ, તો જ વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ શક્ય છે.