ધર્મતેજ

મનન: નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું સ્વરૂપ સ્થાપિત થયું

-હેમંત વાળા

માંડુક્ય ઉપનિષદમાં જણાવાયું છે કે ‘જે સર્વજ્ઞ છે, જે બધું જાણનાર છે, જેનું જ્ઞાનમય તપ છે, તે બ્રહ્મમાંથી નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે’. આ એક અદભુત વિધાન છે. બ્રહ્માંડની રચનાનાં મુખ્ય ત્રણ પાસાં અહીં જાણે સરળતા અને સહજથી વ્યક્ત કરવામાં આવ્યાં છે. સંસાર છે એટલે નામ છે, સંસાર છે એટલે રૂપ છે અને સંસાર છે એટલે અન્ન છે. નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું જે તે સ્વરૂપ સ્થાપિત થયું છે અને જળવાઈ રહ્યું છે.

નામ એટલે ઓળખ. વ્યવહારમાં આપણે જ્યારે કોઈ નામ ઉચ્ચારીએ ત્યારે કોઈ વ્યક્તિની છબી અને તેની સાથે વણાયેલી સંલગ્ન બાબતો ધ્યાનમાં આવતી જાય. સામાન્ય રીતે એમ કહી શકાય કે નામ થકી વ્યક્તિ ઓળખાય. પણ નામનો અર્થ વ્યાપક છે. નામ એટલે એવો શબ્દ કે જેનાથી ભિન્નતા અને સમાનતાના સંદર્ભમાં પણ ઓળખ સ્થાપિત થાય. જ્યારે ‘ઐરાવત’ કહેવામાં આવે ત્યારે, સમાનતાની દૃષ્ટિએ હાથીની એક આખી પ્રજાતિ અને ભિન્નતા કે વિશેષતાની દૃષ્ટિએ એક ચોક્કસ હાથીની છબી મનમાં અંકિત થાય. જ્યારે કૃષ્ણ કહેવામાં આવે ત્યારે વિષ્ણુના દરેક અવતારની ધર્મની સ્થાપના માટેની સમાન કટિબદ્ધતા યાદ આવે અને સાથે સાથે સુદર્શન ચક્રધારી ઉગ્ર કે વાંસળી વગાડનાર મધુર શ્રીકૃષ્ણની છબી મનમાં ઊભરે.

આ પણ વાંચો: સૌથી જરૂરી મનની શાંતિ…

પશ્ર્ચિમી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે કે નામનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ આ સાવ જ અર્થહીન માન્યતા છે. નામની સાથે વિવિધ પ્રકારના સમીકરણો જોડાયેલાં હોય છે. નામની સાથે ઘણાં સંદર્ભ સ્થાપિત થયેલાં હોય છે. નામની સાથે કોઈ એક ચોક્કસ વ્યક્તિત્વ, સ્થાન, પ્રસંગ, સાર, પરિસ્થિતિ, પદાર્થ, વિચારધારા, પરિણામ, સમય તથા ઇતિહાસ જોડાયેલો હોય છે. નામને કારણે જે તે બાબતને ‘વિશેષતા-પૂર્વક’ સમજવું શક્ય બને છે. નામને કારણે સૃષ્ટિનાં દરેક તત્ત્વનું અસ્તિત્વ સરળતાથી ધ્યાનમાં આવે જેને કારણે તેની આસપાસ, તેનાં આધારે તથા તેનાં કારણે સ્થાપિત થયેલી પરિસ્થિતિ સ્પષ્ટતાથી સમજી શકાય. નામ છે એટલે સૃષ્ટિની અને સૃષ્ટિના દરેક વિભાગની ઓળખ શક્ય બને છે. મનમાં ઉદ્ભવતો ચોક્કસ ભાવ તથા તેની સાથે સંકળાયેલી સમજ નામને કારણે સરળ બને છે.

રૂપ એટલે જેની સાથે નામ જોડાયેલું છે તેનાં ગુણધર્મો. રૂપ એટલે માત્ર દેખાવ નહીં. આકાર ઉપરાંત રૂપના વ્યાપમાં રંગ, સ્વાદ, પ્રમાણમાપ, બરછટતા, ચિકાસ, સામગ્રી, જોડાણ, વિગતીકરણ જેવી ભૌતિક બાબતોનો સમાવેશ થતો હોય છે. તે ઉપરાંત સરળતા, પવિત્રતા, શુદ્ધિ, નિર્મળતા, નિર્લેપતા જેવી હકારાત્મક તેમજ તેનાથી વિપરીત નકારાત્મક ગુણધર્મોનો સમાવેશ પણ રૂપમાં થાય. રૂપની સાથે ભાવાત્મક બાબતો પણ સંકળાતી હોય છે. એકંદરે રૂપ એટલે નામધારી બાબત સાથે જોડાયેલી ગુણાત્મક ઓળખ. નિત્ય – અખંડ – અનંત – અનાદિ જેવી બાબતો રૂપાત્મક કહેવાય, જે બ્રહ્મ નામ સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: મનનઃ કુસંગનો સદાય ત્યાગ કરવો

જો નામનું અસ્તિત્વ ન હોય તો રૂપના અસ્તિત્વની સંભાવના નથી અને જો રૂપનું અસ્તિત્વ ન હોય તો નામના અસ્તિત્વનો કોઈ અર્થ નથી. નામ હોય તો રૂપ હોય જ અને રૂપ હોય તો નામ હોય. નામ એ અસ્તિત્વ છે તો રૂપ એ તે અસ્તિત્વનો પ્રકાર. નામ એ ભૌતિક પરિસ્થિતિનું પરિણામ છે તો રૂપ એ તેની સાથે જોડાયેલી ભાવાત્મક – ગુણાત્મક ઘટના છે. નામ-યુક્ત અસ્તિત્વને સ્પર્શી શકાય જ્યારે રૂપના અસ્તિત્વની અનુભૂતિ થતી હોય છે. એક રીતે એમ પણ કહી શકાય કે નામ એ દ્રષ્ટિનો વિષય છે જ્યારે રૂપ એ મન-બુદ્ધિનાં ક્ષેત્રમાં આકાર લેતી ઘટના છે. એમ પણ કહી શકાય નામ સ્થૂળ ઘટનાનું પરિણામ છે જ્યારે રૂપ એ સૂક્ષ્મ ઘટનાનું સ્વરૂપ છે. નામ અને રૂપ બંને પરસ્પર આધારિત છે. જેમ ‘વાણી’ અને ‘અર્થ’ પરસ્પર સંકળાયેલાં હોય તેમ નામ અને રૂપ માટે પણ કહી શકાય. ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં’નાં સિદ્ધાંત પ્રમાણે જ્યારે એક જ પરમ તત્ત્વ બ્રહ્મમાંથી ભિન્ન ભિન્ન ઘાટ ઊભાં થાય ત્યારે જ નામ અને રૂપનું અસ્તિત્વ એક સાથે પ્રગટે.

સૃષ્ટિ જડ અને ચેતન, એમ બે પદાર્થની બનેલી છે. એક વિચારધારા પ્રમાણે સૃષ્ટિનું એક પણ તત્ત્વ એવું નથી કે જે શત-પ્રતિશત જડ હોય કે શત-પ્રતિશત ચેતન યુક્ત હોય. વળી એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી અસ્તિત્વમાં ચૈતન્યની હાજરી છે ત્યાં સુધી અન્નની આવશ્યકતા છે. આ બંને વિધાનને એક સાથે જોતાં એમ જણાય કે સૃષ્ટિના દરેક તત્ત્વને અન્નની આવશ્યકતા છે. અન્નનો પ્રકાર બદલાઈ શકે, જરૂરિયાતની માત્રા ભિન્ન ભિન્ન હોઈ શકે, ગ્રહણ કરવાનો સમયગાળો અને રીત પણ જુદાં જુદાં હોઈ શકે, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એની જરૂરિયાત માટે શંકા ન હોય.

આ પણ વાંચો: મનન:મૃત્યુની પ્રતીક્ષા

મનુષ્યને, પશુને, પક્ષીને, ઝાડપાનને અન્નની આવશ્યકતા છે. પિતૃઓને, દેવતાઓને, યક્ષ-ગાંધર્વને, ભૂત-પિશાચને પણ અનુરૂપ અન્નની આવશ્યકતા છે. વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં જોતાં એમ પણ જણાશે કે પાંચ મહાભૂતોમાં પણ દરેકને જે તે સ્વરૂપનાં અન્નનો સહારો જરૂરી હોય છે. એક ઉપનિષદમાં બ્રહ્મની ચર્ચાના આરંભમાં એમ જણાવવામાં આવ્યું છે કે અન્ન બ્રહ્મ છે. અન્ન છે એટલે જીવન છે, અન્નને કારણે વંશવેલો આગળ વધી શકે છે, અન્નના અભાવથી અસ્તિત્વ નાશ પામી શકે. સૃષ્ટિમાં અન્નનું હોવું અત્યંત જરૂરી છે, અને તેથી જ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ તારે નામ અને રૂપના સર્જનની સાથે અન્નનું પણ સર્જન થયું.

નામ એ ઓળખ છે, રૂપ એ ગુણધર્મ છે અને અન્ન એ બંનેનું અસ્તિત્વ ટકી રહે તે માટેની યોજના છે. નામ એ અસ્તિત્વની સાબિતી છે, રૂપ એ અસ્તિત્વની અસર છે જ્યારે અન્ન એ અસ્તિત્વનું કારણ છે. નામ સ્થૂળ વિશ્વનો ભાગ છે, રૂપ સૂક્ષ્મ વિશ્વનો ભાગ છે જ્યારે અન્ન એ કારણ વિશ્વની ઘટના છે. આ ત્રણેયનો સમન્વય એટલે સૃષ્ટિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button