માનસ મંથન: હે પરમાત્મા, તમને જે ગમશે એ મને ફાવશે

-મોરારિબાપુ
ગુરુનાનક પાસે એક માણસ આવે છે. પેલાએ આવીને કહ્યું કે નાનકદેવ, મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે કોકને બાળીને ભસ્મ કરી શકો છો અને બીજી જ મિનિટે એને રાખમાંથી બેઠો કરી શકો છો. કોઈ પણ હસ્તી જ્યારે પ્રકાશ ફેલાવે, ત્યારે લોકો બહુ આવી વાતો જોડી કાઢે, લોકોને આવી વસ્તુ બહુ ફાવે. નાનક તો સર્વ સમર્થ છે, શું ન કરી શકે ? પરંતુ એમણે એક સિદ્ધાંત સ્વીકાર્યો છે. પરમાત્મા, તને જે ગમશે એ મને ફાવશે. આ શીખવા જેવું છે. ઈશ્વરનો જે નિર્ણય છે એને સ્વીકારી લેવો. ગોસ્વામીજી કહે છે-
होइहि सोई जो राम रचि राखा |
को करी तर्क बढावै साखा ॥
રશિયન મહાત્મા ટોલ્સટોયની એક નાની વાર્તા છે. મૃત્યુનો એક દેવતા, પૃથ્વી પર એક સ્ત્રી મરી ગઈ છે, એને લેવા આવે છે. એ સ્ત્રીને ત્રણ બાળકીઓ હતી, એમાંની એક બાળકી, મરી ગયેલી માના પયસ્થાનને દૂધ પીવા ચૂસતી હતી. બાળકીને શું ખબર, મા મરી ગઈ છે. બહુ કરુણ ઘટના આલેખી છે.
આ પણ વાંચો: માનસ મંથન : નિષ્કામ થવું આસાન છે – ભોગવવું આસાન છે, પરંતુ સમ્યક રહેવું બહુ મુશ્કેલ છે…
મૃત્યુનો દેવ આવે છે, ત્યારે એક બાળકી એની મરેલી માના પયસ્થાનને ચૂસતી હોય છે, બીજી એના પગ પાસે સૂઈ ગઈ છે, ત્રીજી બાજુમાં બેઠી છે. મૃત્યુના દૂતે આ જોયું, એની આંખમાંથી આંસુ પડતાં પડતાં ઠંડીને લીધે બરફ થઈ ગયાં. આંસુ જામી ગયાં. એવી કરુણતા જોઇને મૃત્યુના દેવને લાગ્યું કે આ સ્ત્રીને નહીં લઈ જાઉં. જઈને મૃત્યુના દેવતાને કહ્યું કે આ ત્રણ બાળકીને જુઓ તો તમને પણ કરુણા જાગે,એને મારી નાખવાની શી જરૂર છે ? એની ફરજ બજાવ્યા વગર દૂત પાછો ફરે છે. ભગવાનને કહે છે કે મને વાત બરાબર નથી લગતી. મારો જીવ નથી ચાલતો. એને આયુષ્ય ન આપી શકીએ ?
એ વખતે પરમ દેવ હસે છે અને દેવદૂતને કહે છે કે તારામાં મારા કરતાં વધારે અક્કલ આવી ગઈ? તેં ભૂલ કરી છે. મૃત્યુનો કાનૂન તોડ્યો છે. આનો તારે દંડ ભોગવવો પડશે. મૃત્યુલોકમાં તારે જન્મ લેવો પડશે. અહીં સ્વર્ગમાં તું ત્યારે પાછો આવીશ, જ્યારે તું ત્રણ વખત હસીશ.
મોતનો દેવ ધરતી પર પટકાય છે અને એ જ નગરમાં માનવરૂપે આવે છે. એક ચમાર એને જુએ છે. ચમારને આ વ્યક્તિમાં રસ પડે છે. પૂછે છે કે કોણ છે? કહે હું વિદેશી છું, કોઈ નોકરીમાં રાખે તો રહેવું છે. બહુ વધુ પગાર નહીં આપો તો પણ ચાલશે. ચમારને આ ગમી ગયો, કહ્યું કે મારે ત્યાં આવો. હું બૂટ, ચપ્પલની દુકાન રાખું છું, તમારે એ કામ કરવું પડશે. પેલો કહે કે હા, હું બધું કરીશ, મને બધું આવડે છે. મને તમે લઈ જાઓ.
આ પણ વાંચો: માનસ મંથન: માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ?
ચમાર દિવાળીના દિવસો હોઈ, બાળકો માટે મીઠાઈ, કપડાં, કંબલ લઈને આવતો હતો, રસ્તામાં આ મળ્યો, તેથી બધું એને આપી દીધું. ઘરે આવ્યો. પત્નીને વાત કરી. ગુસ્સામાં પત્નીએ કહ્યું કે આ કોને લઈ આવ્યા છો? જેના આવવાથી બાળકોની મીઠાઈ, કંબલ બધું જતું રહ્યું, આ માણસને ઘરમાં લાવી શું કર્યું ? લાભ તો નથી, હાનિ જ થઈ છે.
એ વખતે પેલો દેવદૂત હસ્યો. ચર્મકારે કારણ પૂછયું, કહે હમણાં જવાબ નહીં આપું. ત્રણ વાર હું હસું ત્યારે પૂછજે. દેવદૂતને ખબર છે કે આને થોડાં કપડાં, મીઠાઈ ગઈ, એનું દુ:ખ છે, મારા આવવાથી કેટલું આના ઘરમાં આવવાનું છે, એ દેખાતું નથી. ટોલ્સટોય કહે કે આપણા જીવનમાં પણ આવું જ બનતું હોય છે. જતું રહે એ દેખાય છે, પણ એની અનંત રચનામાં, જતું હોય છે થોડું અને અનંત આવતું હોય છે એ દેખાતું નથી.
પછી તો બૂટ, ચપ્પલ દેવદૂત બનાવે, પેલા મોચીનાં આખી દુનિયામાં વખાણ થવા માંડ્યા કે આવા અદ્ભુત કોઈ બનાવી ન શકે. એમાં રાજાનો પ્રધાન એક દિવસ આવ્યો ને ખૂબ જ ઊંચા પ્રકારનું ચામડું આપી રાજા માટે સરસ બૂટ બનાવવા કહ્યું. ચમારે કહ્યું કે મારી પાસે એવો કારીગર છે કે જે બેનમૂન બૂટ ચપ્પલ બનાવે છે. પ્રધાને કહ્યું જો ભાઈ, ધ્યાન રાખજે, બૂટ જ બનાવજે, સ્લીપર ન બનાવતો. તે વખતે એવો નિયમ હતો કે મરેલા માણસને સ્લીપર પહેરાવાય, જીવતાને બૂટ પહેરાવાય.
આ પણ વાંચો: માનસ મંથન- સાચા સાધુ આપણાં સપનાને વધારશે નહીં, તોડશે જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ…
થયું એવું કે પેલા દેવદૂતે બૂટને બદલે સ્લીપર બનાવ્યાં. નોકર લેવા આવ્યો, સ્લીપર જોઇને ગુસ્સાથી પેલાને થપાટ મારી, દેવદૂત હસ્યો. નોકર કહે છે કે રાજા મને મૃત્યુદંડ આપશે, બૂટ બનાવવાને બદલે સ્લીપર કેમ બનાવ્યાં, અને તું ઉપરથી હસે છે? કારણ શું? કહે બે વખત થયું છે, ત્રીજી વાર હસું, ત્યારે કારણ પૂછજો. આ વાત થતી હતી, ત્યાં તો રાજાનો એક અન્ય નોકર દોડતો આવ્યો ને કહેવા લાગ્યો કે નહીં, નહીં, બૂટ ન બનાવતા સ્લીપર બનાવજો, હમણાં જ આપણા રાજાનું મૃત્યુ થયું છે. ખબર નથી, ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે? ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગીકા !
દેવદૂતને ખબર હતી કે રાજાનું મૃત્યુ થવાનું છે તેથી તેણે સ્લીપર બનાવી હતી. ચર્મકારે માફી માગી, પણ એણે વિચાર્યું કે આ કોઈ જુદી વ્યક્તિ છે. આ વાતને અઠવાડિયું વીત્યું હશે, ત્યાં તો કોઈ ધનવાન અને જાજરમાન સ્ત્રી ત્રણ ક્ધયાઓને લઈ બૂટ ચપ્પલનો ઓર્ડર આપવા આવી છે. રાજઘરાનામાં એ ત્રણ ક્ધયાઓના લગ્ન છે. ચર્મકાર અને નોકરને કહી છોકરીઓના બૂટ-ચપ્પલ માગે છે. એ ત્રણ ક્ધયાઓને નખથી શિખ સુધી જોતાં દેવદૂત ચોંકી જાય છે કે આ તો પેલી જ ત્રણ ક્ધયાઓ છે, જે મરેલી સ્ત્રીના પયસ્થાનમાં દૂધ પીવાનો પ્રયત્ન કરતી હતી, એક એના પગ પાસે સૂઈ ગઈ હતી અને એકના આંસુડા બરફ થઈ થીજી ગયાં હતાં.
આ પણ વાંચો: માનસ મંથન- પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિદ્યા છે-પ્રેમ
પૂછયું પેલી સ્ત્રીને કે આ ક્ધયાઓ કોણ છે ? બતાવશો ? કહે કે એમની મા મરી ગયેલી, મને રસ્તામાં મળેલી. હું કલાકોમાં ત્યાંથી નીકળી. મારે સંતાન નહોતાં. હું એમને મારે ત્યાં લઈ ગઈ. પાળી, પોષી, મોટી કરી, શિક્ષિત કરી. આજે રાજકુટુંબના ત્રણ નબીરાઓ સાથે એમનાં લગ્ન થાય છે. તે દિવસે દેવદૂત ત્રીજી વાર હસ્યો.
ચર્મકારે પૂછ્યું કે તું કેમ હસ્યો? દેવદૂતે કહ્યું, મારે જવાનો સમય થઈ ગયો. મારી સજા પૂરી થઈ છે. તે દિવસે મેં આ મરતી સ્ત્રીની દયા ખાધી હતી. જો ભગવાને આ વાત સ્વીકારી હોત તો આ બાળકીઓ આજે ભીખ માગતી હોત. પણ કોઈ બીજી સ્ત્રીએ એમને પાળી પોષીને મોટી કરી, તો આજે રાજકુટુંબની વધૂ બનીને જાય છે. બાપ! ઈશ્વર જે કરે છે, એના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી. પોતાએ અંદર ઊતરવું નહીં. આપણે આપણી જાતને વચ્ચે મૂકીએ છીએ, એમાં જ બધાં ગોટાળા ઊભા કરીએ છીએ.
- સંકલન : જયદેવ માંકડ