ધર્મતેજ

ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે

-સારંગપ્રીત

ગત અંકમાં સ્વાધ્યાયને દૈવી ગુણોના અંગભૂત બતાવીને હવે ભગવાન કૃષ્ણ અલોલુપતા એટલે કે નિર્લોભને દૈવી ગુણોમાં સ્થાન આપે છે, તે સમજીએ.

નિર્લોભ ગુણને સમજતાં પહેલાં લોભના સ્વરૂપને સમજવું અનિવાર્ય છે. લોભ એ માનવ જીવનનો મોટો શત્રુ છે. લોભથી દુ:ખ અને અશાંતિ જ મળે છે. આપણે સૌ લોભથી થતાં ગેરલાભથી અજાણ નથી છતાં પણ એને છોડી નથી શકતા. જુગારી જુગાર રમતાં રમતાં કોઈક એકાદ વખત જીતી જતાં વારંવાર દાવ અજમાવતાં મેળવેલી રકમ તો ગુમાવે છે, પરંતુ હજી જીતવાની લાલસા તે રોકી શકતો નથી અને અંતે ખુવાર થાય છે.

કોઈક સ્વાદિષ્ટ વાનગી જમણવારમાં વધારે પડતી આરોગવા જતા તબિયત કથળે છે. જાણે આવી વાનગી ભવિષ્યમાં મળે કે ન મળે, તો લાવ ખાઇ લઉં એમ વિચારીને પેટની ક્ષમતા જોયા વગર દબાવે જાય અને પછી પરિણામમાં તેની તબિયત નરમ થઈ જાય છે. લોભરૂપી શત્રુની સોબતથી કેટલા ગેરલાભ છે. અરે, કોઈક વખત તો માનવીનું મોત પણ નીવડી શકે. સમજુ માનવી તો લોભવૃત્તિથી દૂર રહેવામાં જ શાણપણ માને છે.

આ પણ વાંચો: ગીતા મહિમા: સત્યમેવ જયતે

એક બાળવાર્તા આપણે સૌએ સાંભળેલી હશે, એક વાર એક વૃદ્ધવાઘ ભૂખથી વ્યાકુળ થઈ ગયો હતો પણ ઘડપણના લીધે એ શિકાર કરવાને સમર્થ ન હતો ત્યાં જ એણે એક વટેમાર્ગુ પસાર થતાં જોયો પણ પોતે સરોવરની પેલે પાર હોવાથી એણે વિચાર્યું આ વટેમાર્ગુ જો સરોવરની આ પાર આવે તો હું એને મારો કોળિયો બનાવી દઉં પણ એમ સામેથી એ કેવી રીતે આવે? આથી, એણે એક યુક્તિ કરી. પોતાના આગલા શિકારના જે ઘરેણાં પડ્યાં હતાં તેનો ઢગલો કર્યો અને વટેમાર્ગુને ઘરેણાંની લાલચ આપી.

વટેમાર્ગુને મનમાં લોભ જાગ્યો પણ સાથે વિચાર પણ આવ્યો કે આ તો હિંસક પ્રાણી કહેવાય આનો કોઈ ભરોસો ન કરાય પણ તેના લોભામણા પ્રસ્તાવ અને મીઠી વાણીમાં પોતાને રોકી ન શક્યો અને વાઘની પાસે જઈને જીવ ગુમાવી બેઠો. આમ, આપણને પણ આ લોભરૂપી શત્રુ કેટલો હિંસક છે તે ખબર છે પણ તેના આવેશમાં આવીને ન કરવાનું કરીએ છીએ. એટલે જ તો પ્રસિદ્ધ કહેવત છે અતિ લોભ તે પાપનું મૂળ.

લોલુપતા એ એવી અગ્નિ છે જે ક્યારેય બૂઝતી નથી. જે માનવી લોલુપતાને જીતે છે, તે જીવનમાં સુખી થાય છે. લોલુપતા તમારું સન્માન અને સંતોષ બંને લૂંટી લે છે. એટલે જ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું Earth has provide enough to satisfy every man’s need but not every man’s greed. લોભને થોભ હોય નહીં. લોભી માણસ જેટલું કંઈ આવે તે ભેગું કરી રાખે. હવે ઘણું થયું એવો વિચાર તેને ન આવે. રૂા. 10,000ની આવક હોય તે રૂા. 1,00,000ની ઇચ્છા કરે,
રૂા. 1,00,000વાળો 10લાખ રૂપિયાની ઇચ્છા કરે.

આ પણ વાંચો: ગીતા મહિમા: ……જેના ઉપર આપણો કાબૂ છે!

જોકે લોભી માણસ ક્યારેય શાંતિ ભોગવી શકતો નથી, કારણ કે તે હંમેશાં વધુ મેળવવાના આશયમાં મગ્ન રહે છે. તેની લાલસા તેને એક સ્થળેથી બીજા સ્થળે દોડતી રાખે છે, પણ આત્મસંતોષ કે આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. લોભ માનવનું મન અશાંતિથી ભરેલું રાખે છે અને જીવનમાં શાંતિ અને સંતુષ્ટિ માટે અવરોધરૂપ બને છે. તમારી પાસે ગમે તેટલી સુખસુવિધા હશે પણ લોભના કારણે એને તમે સંતોષપૂર્વક ભોગવી નહીં શકો.

સિકંદરે ભારતના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયેલા ગ્રીસ અને મેસેડોનિયાના એક વિખ્યાત રાજા હતા, જેણે ગ્રીસથી છેક ભારત સુધી વિજયકૂચ આદરી હતી. જીવનના આખરી સમયે તે યુદ્ધ કરવાનું જૂનૂન ગુમાવી ચૂક્યો હતો, છતાં તેણે પોતાની આદતના કારણે યુદ્ધ કર્યું. તેના મૃત્યુથી થોડીવાર પહેલાં, તેણે તેના લોકોને એક વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું, જ્યારે તેઓ મારી શબપેટી બનાવે, તો તેમાં બંને બાજુ મારા બંને ખાલી હાથ બહાર રહે, માત્ર તમને બધાને એ બતાવવા માટે કે મહાન સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.

આ પણ વાંચો: ગીતા મહિમા: કોમળ મન ને ઋજુ વાણી…

તો ચાલો આપણે પણ આપણા જીવનમાં લોલુપતાને ઓળખી તેને જીવનમાંથી દૂર કરવા માટે પ્રયત્નશીલ થઈએ. જીવનમાં સમજદારીભર્યું કામ કરવા માટે અંતિમ ક્ષણની રાહ ના જોશો. ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે. આ જ સમય છે જ્યારે આપણા હાથમાં બધી વસ્તુઓ છે. જ્યારે આપણું સામર્થ્ય આપણા હાથમાં હોય અને જીવન સારું હોય, ત્યારે આ જ યોગ્ય સમય છે કે જીવનને બને તેટલું ઊંડાણપૂર્વક જોઈ લઈએ; નહીં કે જ્યારે વાત બગડી જાય ત્યારે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button