ધર્મતેજ

ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાના પગલાં પર ધ્યાન આપવું

માનસ મંથન -મોરારિબાપુ

निज पद नयन दिए मन राम पद कमल लीन |

परम दुखी भा पवनसुत देखि जानकी दीन ||

બાપ ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે ? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે ? હનુમાનજીએ જોયું કે માએ નેત્રોને લગાવ્યાં છે પોતાનાં ચરણોમાં અને મનને લગાવ્યું છે રામના ચરણોમાં. આ ભક્તિ કરવાની પદ્ધતિ છે. જેણે ભજન કરવું હોય એણે પોતાની આંખ પોતાના પગલાં પર રાખવી. બીજો શું કરે છે, બીજો ક્યાં જાય છે ? એમાં ન જવું. મારાં પગલાં કેમ છે ? નયન પોતાના પગલામાં, આચરણમાં અને મન રામના સ્મરણમાં. આ ભક્તિની શર્ત છે. જેણે ભજન કરવું હોય તેને પોતાના પગલાં જોવા કે મારું આચરણ કેવું છે. હું ને તમે તો રાત-દિવસ, ફલાણો આમ છે અને ફલાણો તેમ છે, તેમાં જ રહીએ છીએ.તમે બોલ્યા કરશો એટલે સામેવાળો સુધરી જવાનો છે ? આ દુનિયા તમારાથી સુધરવાની છે ? શું કામ તમે સમય બરબાદ કરો છો ? ઘણા માણસો આમ જ આખો વખત હિસાબ કરતા હોય છે. બહુ ખોટી ઊર્જા વપરાય છે. ઘણા માણસો ભેગા થાય એટલે કહે કે, ફલાણ ભાઈ ગામમાં કરોડપતિ છે. તે તું ગણવા ગયો હતો ? અને એ તને કંઈ આપવાનો છે ? તારા નામે મિલકત કરવાનો છે ? કારણ વગર શું કામ તારી શક્તિ બગાડે છે. આ જેને ભજન કરવું હોય તેના માટેની વાત છે. તમે આટલી એકાગ્રતાથી ભગવદ્ કથાને પીઓ છો એટલે વધારે ને વધારે કહેવાની ઈચ્છા થાય છે. મનેય ઘણીવાર થાય છે કે હું શું કામ આટલી મહેનત કરું છું ? પણ નહીં, એમ લાગે છે કે, અત્યારે ખબર નહીં પડે. પણ વ્યાસગાદી સફળ નહીં પણ સુફળ થઇ રહી છે.સફળ થવું અને સુફળ થવું એમાં ફેર છે. તમે બુદ્ધિની ચાલાકી કરો. બીજા પાસેથી પૈસા કમાઈ લો, તો તમે સફળ થયા પણ સુફળ ન થયા. એનું પરિણામ સારું નહીં આવે. જેણે ભક્તિ કરવી હોય તેને પોતાના પગલાં જોવાં.

ઘણા માણસો આવું બહુ કરે. ફલાણા તો આમ કરે છે, ફલાણો ખોટું કરે છે, ફલાણો ચોરી કરે છે. પેલો તો બધાને છેતરે છે. આ આમ કરે છે ને પેલો તેમ કરે છે. આપણે ઠેકો લઈને નીકળ્યા છીએ ? આપણે ક્યાં આ બધી જવાબદારીઓ ઉપાડી છે ? આપને લાખ કહીએ છીએ તો પણ માનતા નથી આપણું. તું શું કામ દુ:ખી થાય છે ? શું કામ કલ્પનાના મહેલો ચણો છો ? આપણું આપણાં ઘરના નથી માનતા. શું કામ કોઈના પર આધાર રાખો છો ? અરે, તમારું મન તમારું કહ્યું નહિ માનતું ! તમારી બુદ્ધિ તમારું કહ્યું નથી કરતી. તમારી ઇન્દ્રિયોની એક એક વૃત્તિ તમારાં કાબૂમાં નથી ! તમે કઈ બાબતમાં સફળ થયા છો ?

અમારે ત્યાં એક ભગત હતા. તે કહેતા કે તમે ગમે તેને પૂછો કે કેમ, મજામાં ? એટલે કહશે કે હા, બહુ મજામાં. શેની મજામાં છો તું ? તારો ભાઈ તારી સાથે બોલતો નથી. તારો દીકરો તારાથી જુદો રહે છે. પતિ-પત્ની છૂટાછેડા લેવાની તૈયારી કરે છે. મજા શેની છે ? મજા તો તું હરિ ભજી લે તેમાં છે. તમે દશા તો જુઓ! તમે ઈર્ષ્યા કરો, તમે નિંદા કરો, તમે કુથલી કરો, તમે આ કરો, તે કરો. કંઈ મજા છે, સમજાતું નથી. તમે કોની નિંદા કરો છો ? કોના પર દયા કરો છો ? વેદાંતમાં એ મૂઢતા છે. કબીર સાહેબની એક સાખી છે જે યાદ નથી પરંતુ તેનો ભાવ કંઈક આવો છે-ભીડમાં ચાલશે એ ભટકી જશે. એકલા ચાલશે એ પહોંચી જશે. ભીડમાં જશે એ ભટકી જશે. ભીડથી મુક્ત બની જાઓ. આપણને તો ભીડમાં લહેર આવે છે. આપણી આજુબાજુ માણસો કેટલાં? એમાં લહેર આવે છે ! એકાંતે સુખમાસ્યતામ… એકલા પાડો. એકલા જશે એ પહોંચી જશે. ભીડ મારી નાખે છે. અને કાં તો ભીડમાં રહીને એકલા બનતા શીખો તો વાત બને. પણ એ બધી વ્યક્યાઓ થાય, બાકી મુશ્કેલ છે. હું પણ વ્યાસગાદી પરથી બોલી જાઉં, બહુ રૂડું લાગે. બાકી અનુભૂતિ ઘણી મુશ્કેલ હોય છે. બધાની વચ્ચે એકલા રહેવું મુશ્કેલ છે. ક્યાંક તો પકડાઈ જ જાય, માણસ. જેનું અખંડ હરિ ભજન છે, જેને ચોવીસ કલાક ભજનમાં ઓછા પડતાં હશે, એવા માણસો ગમે ત્યાં એકલા રહી શકે.

ભીડમાં હશે તે લૂંટાઈ જશે. એને લોકો લૂંટી લેશે. ભીડ તો લૂંટી લે બાપ ! જેને ભજન કરવું છે તેને જાનકીજી બતાવે છે કે, પોતાના પગલાં પર દ્રષ્ટિ રાખવી. બીજાનું શું છે, કેમ છે, એ જોવું નહીં. વેદાંતમાં સીતાનું રૂપ શાંતિ છે પણ જ્યારે ભક્તિની ચર્ચા ચાલે છે ત્યારે સીતાજી ભક્તિમાર્ગમાં ભક્તિનું રૂપ છે. તે પોતાના પર નજર રાખે છે. મારું વર્તન કેમ છે ? મારું જીવન કેવું છે ? અને મન રામના ચરણોમાં લીન રહે. – સંકલન: જયદેવ માંકડ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…