ધર્મતેજ

અરે જીતવું હોય તો જાગો

(સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૪)

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

પરમતત્ત્વની પ્રાપ્તિ અર્થે સાધકે જ્ઞાન, યોગ અને ભક્તિ અને સેવા… એમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર જ્ઞાની થવાનું કે માત્ર યોગી થવાનું જ સંતોનું લક્ષ્ય નથી.

પોથી, પુસ્તકમાંથી તો માત્ર માર્ગની જાણ થાય, એ પછી તેને પ્રાપ્ત કરવાના ઉપાયો (સાધના) કરવા માટે જાતે જ સજ્જ થવું પડે, અને પ્રાપ્તિની ક્ષણોને ચિરંજીવ બનાવવા જરૂ૨પડે શક્તિની, શૂરવીરતાની…
આ તન-શરીર રૂપી પાંચ ઈન્દ્રિયોનો બનેલો અશ્ર્વ એના ઉપ૨ બેઠેલા મન અસવા૨ને ટક્વા દે એમ નથી. ખૂબ તોફાની છે ઘોડો. મન બિચારું જ્યાં સ્થિર થવાનો પ્રયાસ કરે ત્યાં પાંચે ઈન્દ્રિયો બેકાબૂ બનીને અસવા૨ને પાડી દે. એને સ્થિર બેસાડવા ઘોડા ઉપ૨ જરૂરી છે પલાણ અને લગામ.

જો મનને સારી રીતે બેસવા પલાણ અને કાબૂમાં રાખવા લગામ મળી જશે તો જરૂ૨ આ અશ્ર્વ કાબૂમાં આવી જશે. સાધકની સાધનાની સિદ્ધિ આસન સ્થિ૨તામાં છે.

તમામ આવ૨ણો હટાવીને કચ૨ો ગાળીને પાચન ક૨વાની આત્મશક્તિનાં પલાણ જ્યા૨ે એ અશ્ર્વ ઉપર મંડાઈ જશે ત્યારે જ સાધક પોતાની અંદર છુપાયેલા શત્રુઓ સામે યુદ્ધ કરવા માટે શક્તિમાન થશે. એ માટે જરણાના જીન ધારણ કરવા પડે.

શીલ એટલે અણિશુદ્ધ ચારિત્ર્ય. એની બ૨છી બનાવી, સદાચા૨ અને સત્યપાલનના અસ્ત્રશસ્ત્રો ધારણ કરીને, અંદરના અહમ્ સામે જુદ્ધે ચડવાનું છે. આ સમય છે કળિયુગનો. કાંટાની વાડય જેવો. એમાં ડગલાં માંડવાં હોય ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે.
ક્યારે સત્તાનો, સમૃદ્ધિનો, સંપત્તિનો, સાધના કે સિદ્ધિનો, જ્ઞાનનો, જાણકારીના અહંકારનો કાંટો વાગી જાય એ કહેવાય નહીં અને એમ જાળવી જાળવીને ચાલતાં અનેક સંકટો સહન કરતાં કરતાં ચમત્કારો-સિદ્ધિઓનાં ભયસ્થાનો વટાવીને મેરુદંડથી લઈને શૂન્યશિખર-આસમાન સુધીની યાત્રા અવિરતપણે ચાલુ રાખવાની છે.

અજપાજાપ દ્વારા સાધક ત્યાં પહોંચી શકે. આ એક સાધનાની કુંચી છે. આસ્તે આસ્તે ખૂબ જ ધીરજથી સાધુતા પચાવીને આત્મસિદ્ધિના શિખ૨ સુધી પહોંચવાનો માર્ગ અહીં દર્શાવાયો છે.

અજરા કાંઈ જરિયા નહિ જાય,
એ જી વીરા મારા
અજરા કાંઈ જરિયા નહિ જાય… તમે થોડે થોડે સાધ પિયો હો… જી.
તન ઘોડો મન અસવાર,
એ જી વીરા મારા તન ઘોડો મન અસવાર…
તમે જરણાના જીન ધરો હો… જી.
શીલ બરછી સત હથિયાર,
એ જી વીરા મારા શીલ બરછી સત હથિયા૨…
તમે માયલાસે જુદ્ધ ક૨ો હો… જી.
(પ્રાચીન- ધ્રુવ-પ્રહલાદના નામે)
૦૦૦
તત્ત્વ વિચારનો કરો તમંચો,
જ્ઞાનની ગોળિયું ડારો,
બ્રહ્મભાવનો કરો ભડાકો,
ઘાયલ થાય ચરનારો…
-મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મારો રે હો જી…૦
ઘાયલ મૃગને ઘેરી કરીને,
તમે તૈયા૨ કરો તલવારો,
હક્ક પૂગે ત્યાં હલાલ કરો,
નથી બીજાનો ગુજારો…
-મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મારો રે હો જી…૦
મૃગ મારીને પૂરો મંદિરમાં,
દુરલભ મુક્તિ દેનારો
પરમ પદ તે નક્કી પ્રીછાવે,
ધ્યાન વિચારનો ઈ ધારો…
-મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મારો રે હો જી…૦ (મામદ)
૦૦૦
રામબાણ વાગ્યાં રે હોય તે જાણે,
એજી ઓલ્યા મૂરખા મનમાં શું આણે…
-રામબાણ વાગ્યા હોય તે જાણે…૦
ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે,
ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યાં, વેદવચન પરમાણે…
-રામબાણ વાગ્યા હોય તે જાણે…૦ મોરધ્વજ રાજાનાં મન હરી લેવા,
વહાલા પધાર્યા તે ઠામે,
કાશીએ જઈને કરવત મેલાવ્યાં, પુત્ર-પત્ની બેઉ તાણે…
-રામબાણ વાગ્યા હોય તે જાણે…૦ બાઈ મીરાં ઉપ૨ ક્રોધ કરીને,
રાણો ખડગ લઈ તાણે,
ઝેરના પ્યાલા ગિરધરલાલે,
અમૃત ર્ક્યા એવે ટાણે…
-રામબાણ વાગ્યા હોય તે જાણે…૦
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખેર ટાણે,
અનેક ભક્તોને એણે ઉગાર્યા,
ધનો ભગત ઉર આણે…
-રામબાણ વાગ્યા હોય તે જાણે…૦ (ધના ભગત)
૦૦૦
રામ ભજો મેરે ભાઈ તો જનમ જનમ સૂખ પાઈ,
નહિ તો મૂળ સમૂળાં જાઈ…
રામ ભજો મેરે ભાઈ…
આ જુગ તો સપનેમેં ગયો,
સ્વપ્નાના બી હો જાઈ,
આ જુગ તો તુજે ધૂતન આયો,
તુજકો ભીડ જમાઈ…
રામ ભજો મેરે ભાઈ…
ફૂલવાડીમેં મરગા લોભાના,
પારાધી બાણ લગાઈ,
મોહકા બાંધ્યા મૃગલા જાવે અપનો પ્રાન ગુમાઈ…
મીઠી કોળી લે કર ખીલાવે,
જાનવરો કું કસાઈ,
ચરને કું પલવાર છોડે,
નિશ્ર્વે છુરી ચલાઈ…
રામ ભજો મેરે ભાઈ…
ખાટા ખારા મીઠા લગત હે,
લાલચ લોભ ન જાય,
ક્રિયા કરમકી કદર ન જાણે,
ઘટમેં રોગ ભરાઈ…
કહે નુરન સુનો ભાઈ સાધુ,
કીધા હમકો કબજાઈ,
અંતકાલ કોઈ સગા ન અપના,
સ્વાર્થી જગત સગાઈ…
રામ ભજો મેરે ભાઈ …
(નૂરન સાંઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?