આખા જગતનો અવાજ સાંભળતો મનુષ્ય, પોતાના આત્માનો અવાજ સાંભળતો નથી…

ફોકસ -રાજેશ યાજ્ઞિક
મનુષ્યના જીવનમાં શ્રવણ અર્થાત સાંભળવાનું બહુ મહત્ત્વ છે. એ તો સર્વવિદિત છે જ કે મનુષ્ય માતાના ગર્ભમાં પણ શીખતો હોય છે. સાત કોઠાનું યુદ્ધ માતાને સંભળાવતા ભગવાન કૃષ્ણની વાત ગર્ભમાં રહેલો અભિમન્યુ સાંભળીને નિપુણ બની ગયો તે આપણે ક્યાં નથી જાણતા. જન્મ પછી પણ બાળક બોલતા કેવી રીતે શીખે છે? સાંભળીને જ! તેથી તો જન્મજાત જે વ્યક્તિ બધિર હોય તે મૂક પણ બની જાય છે. શ્રવણથી સંસ્કારો પણ આવે છે. તેથી સદ્વચનો સાંભળીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે.
પ્રાચીન કાળથી અથવા કહીએ કે બ્રહ્માંડની રચના થઈ ત્યારથી, જીવંત પ્રાણીઓ વિવિધ પ્રકારના અવાજો અને સ્વરોથી પરિચિત થયા છે. વહેતી નદીનો ગર્જના કરતો અવાજ, ધોધનો અવાજ, પક્ષીઓનો કિલકિલાટ અને પવન અને વરસાદી પાણીના સ્પર્શથી લહેરાતાં ફૂલો અને પાંદડાઓનો મનમોહક અવાજ સાંભળીને જ એક જીવંત પ્રાણી ઘણું બધું શીખે છે. આવા કુદરતી અવાજો ફક્ત સાંભળવાથી, માણસ વધુને વધુ જિજ્ઞાસા પામતો ગયો અને પછી વાણી અસ્તિત્વમાં આવી અને વિકસિત થઈ.
પેલા પોપટની જોડીની વાર્તા સાંભળી છે? બે બોલતા પોપટ બે અલગ-અલગ વ્યકિતએ ખરીદ્યા. એક થોડા દિવસો પછી એક પોપટ અતિથિને મીઠો આવકાર આપતા શીખ્યો, જ્યારે બીજો પોપટ મહેમાનને જોતાવેંત ગાળો આપતો હતો! આવું કેમ થયું? કેમકે જેવું તેમણે સાંભળ્યું તેવી તેમની ભાષા થઇ. આપણે ત્યાં તો બાળક જન્મે એટલે સૌથી પહેલાં તેના કાનમાં ધર્મવાણી સંભળાવવાની પરંપરા છે. ભારતમાં શાસ્ત્ર શ્રવણ, કથા શ્રવણ, કીર્તન શ્રવણની પણ
અદ્ભુત પરંપરા રહી છે. શિષ્ય ગુરુ પાસેથી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે છે.
આપણું મન મર્કટ જેવું છે. સ્વભાવે બેચેન, ઘડીકમાં એક તો ઘડીકમાં બીજા વિચારોની ડાળીઓ ઉપર કૂદતું રહે છે. આવા મન સાથે, આધ્યાત્મિકતા અને ભગવાન પ્રત્યે ભક્તિ પર એક જ ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકાય? મનને એવી રીતે પ્રવૃત્ત કરવાની જરૂર છે કે તે જ્ઞાન સાંભળે અને ગ્રહણ કરે જે ફક્ત આપણી ભક્તિને સમૃદ્ધ બનાવશે જ નહીં પરંતુ આપણને ઘણા મૂલ્યવાન પાઠ પણ શીખવશે.
સંતોએ તો ધર્મકથાને સંસારના રોગીઓ માટે ઔષધ સમાન કહી છે. જેમ શરીરના રોગ માટે ઔષધિઓ ખાઈને, સૂંઘીને, પીને, લગાવીને આરામ મળે છે, તેવી રીતે મનના રોગીઓ માટે કથાનું માત્ર શ્રવણ જ ઔષધિનું કામ કરે છે. સ્વસ્થ શરીર જાળવવા માટે, આપણે સંતુલિત આહારનું સેવન કરીએ છીએ. તેવી જ રીતે, આપણે જે કંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ અથવા માનસિક રીતે ગ્રહણ કરીએ છીએ તે આપણા મન માટે આહાર છે. જો આપણે સારી વસ્તુઓ ગ્રહણ કરીએ, તો આપણા મન પર તેની સકારાત્મક અસર પડે છે. જો આપણે નકારાત્મક વસ્તુઓ ગ્રહણ કરીએ, તો તે આપણા મનમાં અરાજકતા પેદા કરે છે.
આપણ વાંચો: મોક્ષ માટે મરવાની જરૂર નથી, મોક્ષ એ આંતરિક પરિવર્તનનું નામ છે…
સમસ્યા ક્યાં છે? આપણું મન શું જોવું અને શું ન જોવું તે નક્કી કરે શકે છે. જોવા લાયક હોય તો આંખ ઉઘાડી રાખે અને ન જોવું હોય તો આંખ બંધ કરી દે. શું બોલવું અને શું ન બોલવું તેને પણ આ વાત લાગુ પડે છે. પરંતુ શ્રવણેન્દ્રિય કાન બાબત મુશ્કેલી એ છે કે કાન બંધ કરવાનો આપણી પાસે રસ્તો નથી. ઊંઘમાં પણ કાન દ્વારા આપણા શરીરમાં ગમતા કે અણગમતા, જરૂરી કે બિનજરૂરી સ્વરો પડ્યા જ કરે છે. તેથી જે શ્રવણ થાય તેમાંથી શું ગ્રહણ કરવું તેના માટે મન સતર્ક અને સજાગ હોવું અત્યંત જરૂરી છે. ગ્રહણ કર્યા પછી તેનું યોગ્ય મનન પણ થવું જોઈએ. નહીતો અખો કહે છે તેમ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન; કહ્યું કાંઇ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.. જેવો તાલ થાય.
આજે તો કાનમાં ભૂંગળા નાખીને સાંભળવાની ફેશન છે. પણ એમાં સાંભળવાનું ઓછું અને ન સાંભળવાનું વધુ સંભળાય છે. જે સંભળાય છે તેનો જીવનની આધ્યાત્મિક ઉન્નતિમાં ફાળો કેટલો? તેનું કોઈ મૂલ્યાંકન કરે છે ખરું?
પેલો પ્રખ્યાત દોહો છે,
મુલ્લા હોકર બાંગ જો દેવે, ક્યા તેરા સાહિબ બહેરા હૈ?
ચિંટી કે પાંવ બાજૈ સો ભી સાહિબ સુનતા હૈ
કેટલી ગહેરી વાત કહી છે! ઈશ્વર સુધી આપણો અવાજ સંભળાવવા ઘોંઘાટની જરૂર નથી, ઈશ્વર તો કીડીના પગમાં ઝાંઝર વાગે તેનો પણ અવાજ સાંભળે છે. અને મનુષ્ય? મનુષ્યને સમગ્ર જગતના બધાજ અવાજો સંબળાય છે, પણ તેનો પોતાનો આત્મા જે કહે તે તેનો એક સ્વર પણ તેને સંભળાતો નથી!! છે ને અજબની વાત?!