ટોપ ન્યૂઝનેશનલ

Corona side effect: એન્ટિબાયોટિક્સના વધારે પડતા ઉપયોગથી ઈન્ફેક્શન વધ્યું

નવી દિલ્હીઃ એક તરફ કોરોનાથી રક્ષણ માટે લીધેલી કોવિશિલ્ડ વેક્સિનને લીધે ટીટીએસની અસર થયાનો ખુલાસો થયો છે ત્યારે બીજી બાજુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પણ કોરોના સમયે લીધે દવાઓ મામલે ચિંતાજનક માહિતી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું છે કે કોરોના દરમિયાન સારવારમાં એન્ટિબાયોટિકનો ભારે દુરુપયોગ કે વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી દર્દીઓની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી, પરંતુ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) નો સાયલન્ટ સ્પ્રેડ અને તેની સાથે સંકળાયેલા જોખમો ચોક્કસપણે વધ્યા છે.

એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એવી સ્થિતિ છે જેમાં એન્ટિબાયોટિક્સ ઘણા પ્રકારના ચેપને રોકવા માટે બિનઅસરકારક બની જાય છે. WHOના રિપોર્ટ અનુસાર, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાંથી માત્ર 8 ટકાને જ બેક્ટેરિયાના કારણે ચેપ લાગ્યો હતો. આ સંક્રમણની સારવાર એન્ટિબાયોટિક્સથી શક્ય છે, પરંતુ તેમ છતાં, દર ચારમાંથી ત્રણ કોરોના દર્દીઓ એટલે કે 75 ટકાને માત્ર એ આશામાં એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી કે તે ફાયદાકારક બની શકે છે.


ડબ્લ્યુએચઓ અનુસાર, કોરોનાથી પીડિત દર્દીઓમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી સ્થિતિમાં સુધારો થયો નથી, પરંતુ જે લોકોમાં બેક્ટેરિયલ ચેપ નથી, આ દવાઓ ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે. આ તારણો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ COVID-19 માટે વૈશ્વિક પ્લેટફોર્મ પરથી મળતા ડેટાના વિશ્લેષણ પર આધારિત છે. જાન્યુઆરી 2020 થી માર્ચ 2023 વચ્ચે 65 દેશોના સાડા ચાર લાખ દર્દીઓ પાસેથી આ ડેટા મેળવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button