ઉત્તર-પૂર્વમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે કેન્દ્ર સરકાર
![Minister for Development of North Eastern Region (DoNER), B.L. Verma](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Minister-for-Development-of-North-Eastern-Region-DoNER-B.L.-Verma.jpg)
નવી દિલ્હી: પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ (DoNER) મંત્રી બી.એલ. વર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પુર્વ ભારત દેશનું મહત્વનું ક્ષેત્ર છે જે અત્યાર સુધી દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાયું નથી.
ભારત સરકાર અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારો સહિત સમગ્ર પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે ટ્વિટર પર લખ્યું હતું. કનેક્ટિવિટીના કારણે પૂર્વોત્તરમાં સમૃદ્ધિ વધી રહી છે. તેમણે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં નેચિફુ ટનલનો વીડિયો પણ શેર કર્યો, જેનું ઉદ્ઘાટન મંગળવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના આઠ રાજ્યોને અષ્ટ લક્ષ્મી નામ આપ્યું હતું, જે સંપત્તિની દેવીના આઠ સ્વરૂપ છે. સરકારે અગાઉ કહ્યું હતું કે તેમણે પૂર્વોત્તર ક્ષેત્રમાં આરોગ્ય સુવિધાઓ સુધારવાથી લઈને પ્રવાસનને પ્રોત્સાહન આપવા, લોકોને સશક્તિકરણ કરવા અને સુરક્ષા વધારવા ઉપરાંત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રમાં પરિવર્તન માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.