AAP ka Ram Rajya: લોકસભા ચૂંટણી પહેલા AAPએ ‘આપ કા રામ રાજ્ય’ વેબસાઇટ લોન્ચ કરી
![AAP ka Ram Rajya: Ahead of the Lok Sabha elections, AAP launched the 'Aap ka Ram Rajya' website](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/PTI04-17-2024-000075B-0_1713341802269_1713341838416.webp)
દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટે પહેલા તબક્કાનું મતદાન આગામી શુક્રવારે 19 એપ્રિલના રોજ થવાનું છે. એ પહેલા આજે બુધવારે રામ નવમીના અવસરે આમ આદમી પાર્ટી (AAP) એ aapkaramrajya.com વેબસાઇટ લૉન્ચ કરી છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય સિંહ, આતિષી, સૌરભ ભારદ્વાજ અને જાસ્મીન શાહ સહિતના AAP નેતાઓએ વેબસાઇટ લોન્ચ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે આ વેબસાઇટ શરૂ કરવા પાછળ પાર્ટીનો ઉદ્દેશ્ય ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં રામ રાજ્યના સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યો અંગે લોકોને માહિતગાર કરવાનો છે.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીના વહીવટીતંત્રએ નોંધપાત્ર પહેલો હાથ ધરી છે, આ બંને રાજ્યોની સરકારની સિદ્ધિઓએ વિશ્વભરના દેશોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
ALSO READ: 2009 થી 2019ની લોકસભા ચૂંટણીમાં કેવું રહ્યું છે ભાજપ અને કોંગ્રેસનું પર્ફોર્મન્સ? જાણો વિગત
તેમણે કહ્યું કે “આ 10 વર્ષોમાં, અમે માત્ર દિલ્હીમાં ત્રણ વખત સરકાર નથી બનાવી પરંતુ પંજાબમાં પણ ભારે બહુમતી સાથે સરકાર બનાવી છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને પંજાબમાં ભગવંત માનની સરકારે એવું કામ કર્યું છે, જેના ઉદાહરણો આજે દુનિયાના દેશો આપી રહ્યા છે. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જે આટલું કામ કરવા છતાં સરપ્લસ બજેટ ધરાવે છે. રામ રાજ્યનું અમારું વિઝનને હકીકતમાં સાકાર કરવા માટે કટિબદ્ધ છીએ.”
સંજય સિંહે કહ્યું કે, “રામ રાજ્યની અંગે અમારી કલ્પના અંગે જાણવા માંગતા લોકોએ અમારી વેબસાઇટની મુલાકાત લેવી જ જોઇએ. અમે દિલ્હી અને પંજાબમાં શું કામ કર્યું છે,એ બધું તમે વેબ સાઈટ પર જોઈ શકો છો અને પછી અમારી સાથે જોડાઓ.”
આ વેબસાઈટ લોન્ચ દરમિયાન, દિલ્હીના પ્રધાન અને AAP નેતા આતિશીએ કહ્યું કે જેમ ભગવાન રામને રામ રાજ્યની સ્થાપનામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હી અને પંજાબના રહેવાસીઓને આપેલા વચનોને પરિપૂર્ણ કરવા માટે યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે.