ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિએ 200 કરોડની સંપત્તિનું કર્યું દાન, પતિ-પત્ની લેશે સંન્યાસ
![Gujarat's billionaire businessman donates 200 crores of wealth, husband and wife will take sanyas](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-15T194717.492.jpg)
કહેવાય છે કે ત્યાગને સમજવા કે તેને પ્રાપ્ત કરવા માટે આ મટિરિયાલિસ્ટિક જગતને મનભરીને ભોગવવું પડે છે. નિષ્ફળ વ્યક્તિ સફળતાનું મહત્વ વધુ સારી રીતે સમજે છે. તેવી જ રીતે, પુષ્કળ ધન એકઠું કરનારા લોકો જ્યારે વૈરાગ્યની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ ત્યાગને વધુ સારી રીતે સમજી શકે છે. કારણ કે તેઓએ તેમના જીવનના દરેક રંગનો આનંદ માણ્યો હોય છે. તમે દુનિયાભરની આવી ઘણી વાર્તાઓ સાંભળી હશે. આજે અમે તમને એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. આ ગુજરાતના એક અબજોપતિની વાર્તા છે. આ અબજોપતિ ઉદ્યોગપતિનું નામ છે ભાવેશ ભાઈ ભંડારી. ભાવેશભાઈ ભંડારી ખૂબ જ ધનવાન અને શ્રીમંત માણસ છે, પરંતુ તેમણે હવે તેમની જીવનભરની કમાણી દાનમાં આપી દીધી છે.
ગુજરાતના હિંમતનગરમાં રહેતા અબજોપતિ ઉદ્યોગપતિ ભાવેશ ભાઈ ભંડારીની કહાની આજે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. પછી તે સોશિયલ મીડિયા હોય કે લોક જીભે. ગુજરાતના આ અબજોપતિએ પોતાની આખી જિંદગીની કમાણી એટલે કે તેમની સમગ્ર સંપત્તિ દાનમાં આપીને સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભંડારી અને તેની પત્નીએ જૈન ધર્મમાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જૈન ધર્મમાં દીક્ષા લેવાનો અર્થ છે સન્યાસ લેવો એટલે કે ભૌતિક જગતથી દૂર રહેવું અને સંતની જેમ માનવ કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવું.
ભાવેશ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાસ લેતા પહેલાં તેમની જીવનભરની કમાણી એટલે કે રૂ. 200 કરોડની સંપત્તિ દાન કરી દીધી છે. ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ કપલને બે બાળકો પણ છે. એક પુત્ર અને એક પુત્રી. પુત્ર અને પુત્રીએ પણ બે વર્ષ પહેલા સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમના બાળકોની જેમ તેમના માતા અને પિતાએ પણ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ભાવેશભાઈનો જન્મ ગુજરાતના હિંમતનગરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેઓ કન્સ્ટ્રક્શન સહિત અનેક પ્રકારના ધંધાઓ ચલાવતા હતા. તેમનો કન્સ્ટ્રક્શન બિઝનેસ ખૂબ જ સારો ચાલતો હતો. જો કે, હવે તેમણે તમામ કામ અને વ્યવસાયથી પોતાને દૂર કરી દીધા છે અને જૈન ધર્મમાં દીક્ષા લઈને દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલે પતિ-પત્ની ઔપચારિક રીતે દીક્ષા લેશે.