Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranaut)ને ભારતીય જનતા પાર્ટી(BJP)એ હિમાચલ પ્રદેશની મંડી(Mandi) બેઠક પર લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે ટીકીટ આપી છે. કંગનાએ તાજેતરમાં એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ભારતના પહેલા વડા પ્રધાન અંગે કરેલી ટીપ્પણીને કારણે વિવાદનો મધપુડો છંછેડાયો છે. કંગનાએ દાવો કર્યો હતો કે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ નહીં, પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ(Netaji Subhashchandra Bose) હતા. એવામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વસંજોએ કંગનાની ટીકા કરી હતી.
કંગનાના અજ્ઞાન બાબતે તેની ટીકા કરવામાં આવી હતી, પણ કંગનાએ પોતાના નિવેદન પર અડગ રહી, પોતાના દાવાના તરફેણમાં નિવેદનો આપ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વસંજોએ કહ્યું કે કંગના ઈતિહાસ તોડીમરોડીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરી રહી છે. સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર-ભત્રીજા ચંદ્ર બોઝે કહ્યું કે “બંગાળ અને પંજાબના ભાગલા પછીના ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા. આ ઇતિહાસ છે. કોઈ તેને બદલી શકે નહીં.”
દરમિયાન, CPI(M)ના નેતા અને સુભાષ ચંદ્ર બોઝની ‘આઝાદ હિંદની પ્રોવિઝનલ સરકાર’ના સભ્યની પુત્રી સુભાષિની અલીએ પણ કંગના પર પ્રહાર કરતા કહ્યું કે, “કંગના રનૌતને ખબર હોવી જોઈએ કે નેતાજી એ સમએ આઝાદ હિંદ ફૌજની કામચલાઉ સરકારના વડા પ્રધાન હતા, ભારત દેશની સરકારના નહીં.”
ગયા વર્ષે ભાજપમાંથી રાજીનામું આપનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર બોઝે કહ્યું કે “બોઝ અવિભાજિત અને અખંડ ભારતના પ્રથમ અને છેલ્લા વડાપ્રધાન હતા, તેઓ 21 ઑક્ટોબર, 1943 ના રોજ સિંગાપોરમાં બનાવવામાં આવેલી નિર્વાસિત આઝાદ હિંદ સરકાર વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.”
ALSO READ : Beef ખાવા અંગે કોંગ્રેસ નેતાએ ‘Kangana Ranaut’ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો વળતો પ્રહાર
ચંદ્ર બોઝે જણાવ્યું હતું કે નેતાજીના પરિવારના તમામ સભ્યો અને તેમના અનુયાયીઓ નેહરુને નીચા દેખાડવા માટે નેતાજીના નામનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એ માટે દુ:ખ અનુભવે છે.
ચંદ્ર બોઝે કહ્યું કે “નેહરુ અને કોંગ્રેસનો મુકાબલો કરવા માટે નેતાજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત વાંધાજનક છે. નેતાજી બે દાયકા (1921 થી 1941) સુધી નેહરુ, ગાંધી અને ચિત્તરંજન દાસ સાથે કોંગ્રેસમાં હતા. નેતાજી અને નહેરુ વચ્ચે મતભેદો હોવા છતાં, તેઓ એકબીજા માટે આદર ધરાવતા હતા. જો એવું ન હોત તો નેતાજીએ આઝાદ હિંદ ફોજની બ્રિગેડનું નામ નેહરુ અને ગાંધીના નામ પર રાખ્યું ન હોત.”
ભારતીય ઈતિહાસકાર ઈરફાન હબીબે કંગનાની ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશનિકાલમાં પ્રથમ સરકાર 1915માં કાબુલમાં બની હતી, જેમાં રાજા મહેન્દ્ર પ્રતાપ તેના પ્રમુખ હતા અને મૌલવી બરકતુલ્લા વડાપ્રધાન હતા.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે અને બીઆરએસ નેતા કેટીઆર સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ પણ કંગના રનૌતની ટિપ્પણી માટે ટીકા કરી હતી.