કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકો પાણીની કટોકટીનો (water crisis in Karnataka’s capital Bengaluru) સામનો કરી રહ્યા છે, ત્યારે 47 વિદ્યાર્થીનીઓને ઝાડા અને ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BMCRI)માં દાખલ કરવામાં આવેલી. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપતા જણાવ્યુ કે આમાંથી બે વિદ્યાર્થીનીઓમાં કોલેરાની પુષ્ટિ થઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના રાજ્ય સર્વેલન્સ યુનિટના ડૉ. પદ્મ એમઆરએ જણાવ્યું હતું કે બે વિદ્યાર્થીનીઓના નમૂનાઓ કોલેરા માટે પોઝિટિવ મળ્યા છે. આ ઘટના બાદ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી અને મહિલા આયોગના અધ્યક્ષે હોસ્પિટલ અને હોસ્ટેલનું નિરીક્ષણ કર્યું હતું.
BMCIRના ડાયરેક્ટર રમેશ કૃષ્ણાના જણાવ્યા અનુસાર, સંસ્થાની મહિલા હોસ્ટેલની 47 વિદ્યાર્થીઓને શુક્રવારે વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે તમામ ઝાડા અને ડિહાઇડ્રેશનથી પીડાતા હતા.
તેમણે કહ્યું, “BMCRI હોસ્ટેલની 47 વિદ્યાર્થીનીઓને ઝાડા અને નબળાઈની ફરિયાદ બાદ વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમામ દર્દીઓના સ્ટૂલ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, “રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બે વિદ્યાર્થીનીઓ કોલેરાથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શુક્રવારે કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કોલેરાના છ કેસ નોંધાયા છે. પાણીની અછત સાથે ઉકળતા તાપે કોલેરા ફાટી નીકળવાની આશંકા ઊભી કરી હોવાના અહેવાલો વચ્ચે, વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ તમામ કેસ છૂટાછવાયા છે.