જ્યારે ગેંગસ્ટર મુખ્તાર અન્સારી પર પોટા લગાવનાર પોલીસ અધિકારીને રાજીનામુ આપવું પડ્યું……
![When the police officer who framed gangster Mukhtar Ansari had to resign...](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/asdas-5.webp)
લખનઊઃ ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના જેલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે થયેલા મોતથી કેટલાક લોકો એટલા દુઃખી થઈ રહ્યા છે કે એવું પ્રતિત થાય છે કે કોઈ મહાન માણસ મૃત્યુ પામ્યો છે, પણ લાગે છે એ લોકોએ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહ પર થયેલા અત્યાચાર જાણયા નથી. આવો એ ઘટના તાજી કરીએ.
આ વાત એ સમયની છે, જ્યારે સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહનું ઉત્તર પ્રદેશમાં શાસન હતું. મુલાયમ સરકારના સમયમાં મુખ્તાર અન્સારીના ઘર પર દરોડા પાડીને સેનાની મશીનગન રિકવર કરવા બદલ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહની પ્રશંસા કરવાને બદલે રાજ્ય સરકારે જેલમાં નાંખી દીધા હતા. ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહનો ગુનો માત્ર એટલો હતો કે તેમણે માફિયા સામે પોટા લગાવી દીધો હતો. તેમની આ કાર્યવાહીથી ભડકીને મુલાયમ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. મુલાયમ સરકારના ઈશારે ઉત્તર પ્રદેશ પોલીસે પોતાના જ ઈમાનદાર સાથીદારનું શર્ટ ફાડીને તેમની ધરપકડ કરી હતી અને ખોટા કેસમાં તેમને જેલમાં મોકલી દીધા હતા. ખ્તાર અંસારીના ગુરૂઓ દ્વારા આર્મીની લાઇટ ગન મશીનની ચોરીનો પર્દાફાશ કરવા બદલ જે અધિકારીને મેડલ મળવાનો હતો, તેને મુલાયમ સરકાર દરમિયાન આ રીતે બદનામ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તમે વિચારો અગર રાજ્ય સરકાર જ માફિયાઓને સાથ આપતી હોય અને તેની સામે કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીને મેડલ આપવાને બદલે જેલમાં ધકેલતી હોય ત્યારે પોલીસ દળનું અને લોકોનું મોરલ કેટલું તૂટી ગયું હશે! અને બાહોશ પોલીસ અધિકારી શૈલેન્દ્ર સિંહ અને તેના પરિવાર પર શું વીતી હશે! આ પ્રસંગ બાદ શૈલેન્દ્ર સિંહે નોકરી છોડી દીધી હતી. થોડા મહિના બાદ તેમની સામે તોડફોડનો કેસ નોંધવામાં આવ્યો હતો. અને આ કેસ પછી ઉત્તર પ્રદેશ પોલીસનું મોરલ એટલું તૂટી ગયું કે જ્યાં સુધી મુલાયમ સિંહ મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધી પોલીસે કોઈ ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરી ન હતી અને જેમ લાલુના કાર્યકાળમાં બિહારમાં જંગલરાજ છે. તેવી જ રીતે મુલાયમ સિંહના યાદવના કાર્યકાળને ઉત્તર પ્રદેશ માટે ગુંડારાજ કહેવામાં આવે છે. જોકે, મે 2021 માં, યુપી સરકારે વારાણસીમાં ભૂતપૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લીધો હતો.
જેલમાં કાર્ડિયાક અરેસ્ટથી મુખ્તાર અંસારીના મોત બાદ હવે પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહનું નિવેદન આવ્યું છે. અન્સારીના મૃત્યુના સમાચાર સાંભળીને પૂર્વ ડીએસપી કહે છે કે મુખ્તાર અન્સારીએ અન્ય લોકોના મનમાં જે ખોફ બેસાડ્યો હતો તે તેના પર પણ હાવી થઈ ગયો હતો. 20 વર્ષ પહેલા 2004માં મુખ્તાર અન્સારીનું સામ્રાજ્ય ચરમસીમા પર હતું. જ્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તે વિસ્તારોમાં તે ખુલ્લી જીપમાં ફરતો હતો. સરકારના તેના પર ચાર હાથ હતા. મને પણ તે સમયે 15 દિવસમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. હું લોકો સમક્ષ મારી વાત લઇ ગયો હતો. મેં જનતાને જણાવ્યું હતું કે આ તમારી ચૂંટાયેલી સરકાર છે, જે માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે.
શૈલેન્દ્ર સિંહ હાલમાં લખનૌમાં રહે છે. તેમનો પરિવાર વારાણસીમાં રહે છે. હવે તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઓર્ગેનિક ખેતી અને પશુ સંરક્ષણ પર કેન્દ્રિત કર્યું છે.