નેશનલ

સાવ ખોટો નીકળ્યો ચીનનો નકશો! અક્સાઇ ચીન પર ભારતના દાવાના મળ્યા પુરાવા

ભારતના બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. બંને પાડોશીઓ સાથેની સીમાઓ હજુ નક્કી કરવામાં આવી નથી. તાજેતરમાં ચીને એક નવો નકશો જાહેર કર્યો છે. તે દર વર્ષે નકશા બહાર પાડે છે. આ નકશામાં ચીને અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ બંને તેમનો ભાગ હોવાનો દાવો કર્યો છે. અક્સાઈ ચીન પર ચીન વારંવાર દાવો કરે છે. પરંતુ આ દાવામાં કેટલું સત્ય છે? એ શોધવું પણ જરૂરી છે.

1961માં તત્કાલીન વિદેશ સચિવ આરકે નેહરુએ ચીનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી તેણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ચીનના અધિકારીઓ સાથે વાત કરવાનો અર્થ એ નથી કે તેઓ તેમને કંઈ ઓફર કરી રહ્યા છે અથવા કોઈ નબળાઈ બતાવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, “આપણે આને ટૂંકાગાળાની સમસ્યાને બદલે કાયમી સમસ્યા તરીકે જોવી જોઈએ. આ સમસ્યાના કેટલાક મૂળભૂત મુદ્દાઓ એવા હોઈ શકે છે, જે હંમેશા ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા કરશે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. એ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે ઘણું બધું કરવું પડશે.”

તેમણે કહ્યું હતું કે, “અક્સાઈ ચીનનું પ્રકરણ ખોલતા પહેલા આપણે જૂની કહેવત પર આગળ વધવું પડશે કે આપણી વાસ્તવિક સરહદો તિબેટ સાથે અડતી હતી, નહિ કે ચીન સાથે, પરંતુ 1951માં ચીને તિબેટ પર કબજો જમાવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અંગ્રેજોએ વર્ષ 1855માં મહાન ત્રિકોણમિતિ સર્વેક્ષણની શરૂઆત કરી હતી. જેણે ઘણા દાયકાઓ સુધી લદ્દાખની સીમાઓ નક્કી કરી હતી.

પ્રથમ ડબલ્યુએચ જોન્સન આવ્યા. જમ્મુ અને કાશ્મીરના મહારાજા ગુલાબ સિંહે જોન્સનને કારાકોરમ પાસથી આગળ ઉત્તર-પૂર્વીય સરહદ બતાવી. 1863માં મહારાજાની સેના શહીદુલ્લાહના કિલ્લા પર તૈનાત હતી, આથી તે ભારતમાં સામેલ થઇ ગયો. પરંતુ 1866માં સૈનિકો ત્યાંથી પાછાં હટતાં જ ચીને શહીદુલ્લા પર કબજો જમાવી દીધો.

19મી સદીના અંતમાં રશિયા તિબેટ સુધી પોતાની પકડ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આને ધ્યાનમાં રાખીને, 1897માં અંગ્રેજોએ બીજી સરહદ રેખા દોરવાનું વિચાર્યું. તેને જ્હોન્સન-અર્દાઘ લાઇન કહેવામાં આવતી હતી. તેમાં કુનલુન પર્વતોના શિખરો સુધી સીમા રેખા દોરવામાં આવી હતી. આ દરમિયાન 1899માં, કાશગર (સિંકિયાંગનો ભાગ) માં બ્રિટીશ કોન્સ્યુલ જનરલ જ્યોર્જ મેકાર્ટનીએ સરહદનો પ્રસ્તાવ મૂક્યો. જે મેકાર્ટની-મેકડોનાલ્ડ લાઇન તરીકે ઓળખાય છે. જેમાં સરહદમાં કારાકોરમ પહાડીઓ પણ બતાવવામાં આવી હતી.

બર્ટિન લિંટનરે તેમના પુસ્તક ‘ચાઇનાઝ ઈન્ડિયા વોર’માં લખ્યું હતું કે, ‘ચીને ક્યારેય જોન્સન-અર્દાઘ રેખાને સ્વીકારી નથી. 1892માં તેના એક પેટ્રોલિંગ યુનિટે કારાકોરમ પાસ પર કેટલાક બોર્ડર માર્કર મૂક્યા, જ્યાં શિનજિયાંગ અને લદ્દાખ વચ્ચે એક જૂનો રસ્તો હતો. ત્યારથી ચીને દાવો કરવાનું ચાલુ રાખ્યું છે કે લદ્દાખના અક્સાઈ ચીન વિસ્તારનો મોટો હિસ્સો તેનો છે.
તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘અંગ્રેજોએ ચીનની આ ચાલ પર બહુ ધ્યાન આપ્યું ન હતું. રશિયન સામ્રાજ્ય અને તિબેટ વચ્ચે વધુ એક બફર ઝોન બનાવવા માટે 1893માં નવી સરહદ રેખા દોરવામાં આવી હતી. એમાં અક્સાઈ ચીનનો મોટાભાગનો ભાગ ચીનમાં બતાવવામાં આવ્યો હતો.

1943 સુધી અંગ્રેજોએ પશ્ચિમી ક્ષેત્રની નજીકની સરહદોને ડોટેડ લાઇનથી ચિહ્નિત કરી હતી, કારણ કે 1921 અને 1927ની વચ્ચે તિબેટ વચ્ચે સરહદના સીમાંકનને લઈને વિવાદ થયો હતો.

એવું કહેવાય છે કે રાષ્ટ્રીય નકશા સંપૂર્ણપણે પક્ષપાતી છે. જો આપણે ઐતિહાસિક ભારતના નકશા પર નજર કરીએ તો સ્પષ્ટપણે દેખાય છે કે અક્સાઈ ચીન ભારતનો એક ભાગ હતો. પરંતુ ઈતિહાસ એ એક જટિલ વિષય છે, તેથી વર્તમાન સમયને આ સંઘર્ષથી ભરેલા વિસ્તાર માટે પ્રાથમિક સ્ત્રોત ગણવો જોઈએ.

1917 અને 1933ની વચ્ચે ચીનના ‘પોસ્ટલ એટલાસ ઓફ ચાઇના’માં પ્રકાશિત થયેલા નકશામાં માત્ર જોન્સન-અર્દાઘ રેખા દર્શાવવામાં આવી હતી. પરંતુ 1943માં, ચીનના સર્વેક્ષણ બ્યુરોએ એક નવો નકશો બહાર પાડ્યો, જેમાં પશ્ચિમી અક્સાઈ ચીનને તેનો ભાગ જાહેર કરવામાં આવ્યો.

1951માં તિબેટ પર કબજો જમાવ્યા બાદ ચીને સિંકિયાંગ-તિબેટ મોટર રોડ નામનો રોડ બનાવ્યો. આ રોડનો 180 કિલોમીટર ભાગ અક્સાઈ ચીનમાંથી પસાર થાય છે. ચીને ભારતની પરવા કર્યા વિના આ બધું કર્યું. આ ઘટના સામે આવ્યા બાદ બંને દેશો વચ્ચે અનેકવાર વાતચીત થઈ. 1961માં રિપોર્ટ ઓફ ધ ઓફિશીયલ આવ્યો હતો, પરંતુ તેનું ક્યારેય પાલન કરવામાં આવ્યું ન હતું. ચીને આવતા વર્ષે એપ્રિલમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને ભારતીય દસ્તાવેજોને વાહિયાત ગણાવ્યા હતા.

4 ડિસેમ્બર, 1961ના રોજ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ચીન તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં 1954ના પંચશીલ કરારને નકારીને નવી સંધિની શરતો લખવામાં આવી હતી. તેના પર ભારતે જવાબ આપ્યો કે તે પંચશીલ કરારનું જ પાલન કરશે. આમાં ચીનની ટીકા પણ થઈ હતી અને ચીન આ જ ઈચ્છતું હતું.

તે સમયે ચીનના તત્કાલિન વડાપ્રધાન ઝોઉ એનલાઈની આર્થિક નીતિઓ નિષ્ફળ ગઈ હતી. તેનાથી ચીનના લોકોમાં નારાજગી વધી હતી. ભારત-ચીન યુદ્ધ દરમિયાન, એનલાઈએ રાષ્ટ્રવાદી ભાવનાઓનો લાભ લીધો અને ચીનના લોકોનું ધ્યાન તેની બિનઅસરકારક નીતિઓથી વિદેશી દુશ્મન તરીકે ભારત તરફ વાળ્યું.

ડિસેમ્બર 1962માં કોલંબોમાં કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં બર્મા (હવે મ્યાનમાર), કંબોડિયા, ઘાના, ઈન્ડોનેશિયા, સિલોન જેવા દેશોએ ભાગ લીધો હતો. તેનો ઉદ્દેશ્ય ભારત અને ચીન વચ્ચે સમાધાનની દરખાસ્ત કરવાનો હતો.

આ કોન્ફરન્સ પછી સંયુક્ત નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું હતું કે સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ બંને પ્રદેશોથી શરૂ થયો હોવાને કારણે પીછેહઠનો સિદ્ધાંત બંને પ્રદેશોને લાગુ થવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં એક પક્ષને પીછેહઠ કરે અને બીજો પક્ષ આગળ વધે તેમ થવું જોઇએ નહિ. જો પીછેહઠ કરવી હોય તો તે સમગ્ર ભારત-ચીન સરહદ પર થવી જોઈએ અને કોઈ એક ક્ષેત્રમાં નહીં. ભારતે આ માટે સહમતિ દર્શાવી હતી, પરંતુ ચીને સ્પષ્ટ ના પાડી દીધી હતી.

લગભગ એક સદી સુધી, ચીનની સરહદો તેના કોઈપણ નકશા પર ક્યારેય સ્પષ્ટ ન થઇ. હતી. જ્યારે પણ સીમા વિવાદ થાય છે ત્યારે ચીનના નકશામાં સીમાઓને લઈને આ પ્રકારનો વિવાદ જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…