પ્રાણીઓના પ્રત્યાયનની અચરજભરી શૈલીઓ…
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/we-6.jpg)
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
મને ઘણીવાર વિચાર આવે કે આપણા મનમાં ચાલતા વિચારોને વ્યક્ત કરવા માટે આપણી પાસે ભાષા છે, એ જો ન હોત કદાચ તો શું આપણે પણ પ્રાણી હોત? અરે બોસ વાત તો સાવ સાચી કે ભાષા આપણી મનોસ્થિતિ સામેવાળાને પહોંચાડવાનું શ્રેષ્ટ માધ્યમ છે. પણ જો માનવની પોતાની કોઈ ભાષા ન હોત તો શું થાત? શું થાત મતલબ શું? કશું ન થાત યાર. આપણે માનવ બન્યા ત્યાર પહેલા પ્રાઈમેટ અવસ્થામાં એટલે કે સાદી ભાષામાં વાનર અવસ્થામાં હતાં, ત્યારે પણ આપણા ગમા-અણગમા કોઈને કોઈ રીતે વ્યક્ત તો કરતાં જ હતા ને? મને તો ઘણી વાર એ કલ્પના પણ આવે કે આપણે ‘અ’ બોલીએ છીએ તેને ‘અ’ કહેવાય એવું કોણે શોધ્યું હશે? તેને ‘અ’ લખવું એવી ડિઝાઈન કેવી રીતે અને કોણે બનાવી હશે?
મને લાગે છે કે આદિમ અવસ્થામાં પણ માણસ પોતાના ભાવો અવાજોની તીવ્રતામાં વિવિધતા લાવી, ચહેરાના હાવભાવ અને હાથના ઈશારાથી વ્યક્ત તો કરતો જ હશે. તો એનો મતલબ કે એ જમાનામાં પણ પોતાની જ જાતનાં પ્રાણીઓ સાથે વાતચીત એટલે કે કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનની એક આખી પ્રણાલી અસ્તિત્વમાં હશે જ. એના પરથી મને એક વાત યાદ આવી. મેં વર્ષો પહેલા નેશનલ જિયોગ્રાફી પર એક ડોક્યુમેન્ટરી જોયેલી. એક વ્યક્તિ આફ્રિકન સિંહોની બોડી લેંગ્વેજ પર રિસર્ચ કરતો હતો. આફ્રિકન સવાનામાં એક બાવળ નીચે એક સિંહ બેઠેલો અને આ ભાઈ પોતાની જીપમાંથી ઊતરીને હળવે પગલે ચાલતા ચાલતા સિંહથી છેક પાંચસો ફૂટ જેટલું નજીક પહોંચી ગયેલા. પછી એક ડગલું આગળ ભર્યું એટલે સિંહ થોડો બેઠો થઈ ગયો, બીજું ડગલું ભર્યું કે સિંહે ગળામાંથી હળવો ઘુરકાટ કર્યો . . . અને ત્રીજા ડગલાં સાથે જ સિંહ ઊભો થઈને ગર્જ્યો… એ જોઈને જ આપણી તો ફેં ફાટી ગઈ. તે વખતે મને વિચાર આવેલો કે સિંહની પણ પોતાની એક આગવી પ્રત્યાયન પ્રણાલી છે, તે પણ અલગ અલગ રીતે પોતાના ગમા-અણગમા વ્યક્ત કરે છે. તો ચાલો આજે આપણે સિંહોના પ્રત્યાનને સમજવા થોડી કોશિશ કરીએ?
કહેવાય છે કે સિંહ, વાઘ, દીપડા અને ચિત્તા એ બધા બિલાડી કુળના પ્રાણીઓ જ છે. વિશ્ર્વભરમાં વસતી મોટા કદની બિલાડીઓમાં સિંહો સૌથી વધુ સામાજિક પ્રકારનું પ્રાણી છે. ગુજરાતી કહેવત છે કે સિંહોના ટોળાં ન હોય, પરંતુ હકીકત એવી છે કે સિંહ ટોળામાં જીવતું પ્રાણી છે. અને એકલદોકલ સિંહ હોય તો કાંતો યુવાનીમાં પોતાના જૂથમાંથી તગેડી મૂકેલા હોય તો એકલા હોય અથવા તો આલ્ફા મેલની લડાઈમાં હારેલો સિંહ એકલો ફરતો હોય છે. સિંહોના જૂથને અંગ્રેજીમાં ‘પ્રાઈડ’ કહે છે. આવા જૂથમાં વિસ્તારના વાતાવરણની સમૃદ્ધિ અથવા વિષમતાના લીધે ત્રણથી લઈને ત્રીસ સિંહો હોઈ શકે છે. પોતાના જૂથની એકતા જાળવવા અને અન્ય ટોળાં સાથે મુકાબલો ટાળવા માટે સિંહો વિવિધ પ્રકારના અવાજ, શારીરિક ભાષા, પોતાના શરીરની ગંધ અને સ્પર્શ દ્વારા અલગ અલગ રીતે પોતાના મનની વાત બીજાને પહોંચાડે છે.
એમના વાત કરવાના આવા તરીકાઓમાંનો એક તો છે ગર્જના. ગર્જનાને આપણે ત્રાડ તરીકે પણ ઓળખીએ છીએ. ગર્જના એ સિંહની વૈશ્ર્વિક ઓળખ છે. વિશ્ર્વભરમાં વસતા આફ્રિકન અને એશિયન એમ બંને પ્રકારના સિંહો ગર્જના કરી શકે છે. ગર્જના કરીને સિંહ આ વિસ્તાર પર પોતાનો અધિકાર છે એવું સિંહોનાં બીજાં જૂથોને જણાવે છે. ક્યારેક શંકા હોય કે બીજું જૂથ પોતાના વિસ્તારમાં ઘૂસી આવશે ત્યારે આખા ટોળાના બધા સિંહો એક સાથે ગર્જના કરે છે. અને બીજું ટોળું જો નાનું હશે તો એ વિસ્તાર છોડી દેશે. એક જૂથના નર સિંહો પોતાના પ્રદેશની જ અંદર અથવા આસપાસમાં વસતા અન્ય નરોને ચેતવણી આપવાના હેતુથી પણ ગર્જના દ્વારા જણાવશે કે ઈધર દેખા તો આંખે નિકાલ લુગા!. વૈજ્ઞાનિકો કહે છે કે નર સિંહની ગર્જના પાંચ માઈલ જેટલે દૂર સુધી એટલે કે છેએએએએક પંદર કિલોમીટર સુધી સંભળાય છે જેને આપણે ડણક તરીકે પણ ઓળખીએ છીએ.
સિંહો પોતાના ટોળાના જ સભ્યો સાથે સ્નેહ વ્યક્ત કરવા અને પરસ્પર સબંધો સુદૃઢ કરવા માટે મૈત્રીપૂર્ણ અવાજોનો ઉપયોગ કરે છે. આવા પ્રત્યાયનો દરમિયાન નીકળતા સિંહના અવાજોને ખોંખારા, ગરગરાટ, છીંક અને એવા બીજા અવાજોનો પણ ઉપયોગ કરે છે. સિંહના બચ્ચા અસલ બિલાડી જેવું મ્યાઉં મ્યાઉં કરે છે, બચ્ચા ભુલા પડે ત્યારે માં બાપને શોધવા અને ભૂખ લાગે ત્યારે મ્યાઉંના અવાજોથી મા પાસે ખોરાકની માગણી કરે છે મા મને દૂદુ…’ સિંહોમાં આક્રમક અથવા રક્ષણાત્મક અવાજો થકી પ્રત્યાયન થાય છે. આમાં ગર્જના, ઘરઘરાટ, સિસકારા, ઉગ્ર ગર્જના અને ખીજભર્યા અવાજોનો ભેદ પાડી શકાયો છે. અલગ અલગ સ્થિતિ મુજબ એક જ સિંહ અલગ અલગ પ્રકારના અવાજો કાઢે છે, જેમ કે માથાભારે સિંહ નબળા સિંહ પર આક્રમણ કરે ત્યારે તેની ત્રાડ અલગ હોય, પણ એ જ સિંહને બીજો માથા ભારે સિંહ ભટકાઈ જાય ત્યારે તેની ત્રાડની તીવ્રતા ઘટી જાય છે અને કાઉકારા જેવી બની જાય છે.
અવાજ સિવાય સિંહો પોતાની વાત સામાને જણાવવા માટે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરે છે. આવી બોડી લેંગ્વેજ બે પ્રકારની હોય છે… અગેઇન એગ્રેસિવ અને ડિફેન્સિવ. મતલબ સીધો છે સિંહ ગુસ્સે ભરાયો હોય ત્યારે તેના હાવભાવ અને વર્તન ઉગ્રતા ભર્યા હોય છે અને જબ ઉનકી બી ફટતી હૈ તબ વો ભી મિયાં કી મીંદડી બન જાતા હૈ! સિંહોની બોડી લેન્ગ્વેજના અભ્યાસુઓ કહે છે કે સિંહ જ્યારે આક્રમણ કરવાના મૂડમાં હોય ત્યારે પોતાનું માથું થોડું નીચું કરી દે છે અને આગળના પગ થોડા પહોળા રાખે છે અને ખભા ખેંચીને ઊંચા કરી દે છે. તેની આંખો જોખમ તરફ જ નોંધી રાખે છે અને તેની પૂંછડી ઊંચી કરીને ફરકાવ્યા કરે છે. આવા સમયે તેના હોઠ ખેંચાઈ જાય છે અને દાંત બહાર દેખાય છે, આવો દેખાવ ઊભો કરીને તે પ્રતિસ્પર્ધીને કહે છે કે ભીડુ, આપુન લડને કો રેડી હૈ…
સિંહને પોતાને જ્યારે જોખમ કે ખતરો અનુભવાય મતલબ કે ડિફેન્સિવ એટલે બચાવની મુદ્રામાં હોય ત્યારે તેના કાન બેસી જાય છે, આંખો ઝીણી કરી દે છે, અને શરીરને જમીન સરસું કરી દે છે. આવી રીતે સિંહ સામે વાળાને કહે છે કે લ્યા ભાઈ, મુ લડવા નથી માગતો… આ સિવાય પોતાના વિસ્તારના રક્ષણ માટે મૂત્રની પિચકારીઓ મારીને ચેતવણી આપે છે કે અપુન કા ઈલાકા હૈ . . . પ્રેમ વ્યક્ત કરવા માથા અને શરીર એક બીજા સાથે ઘસવા, મા બચ્ચાંને ચાટીને હૂંફ અને સલામતીનો સંદેશ આપે છે અને સામાન્ય ગુસ્સો આવે તો એકબીજાને લાફા પણ મારી લે છે… ઓ તેરી, આ તે માણસ છે કે સિંહ છે ? ઉ