સ્પેશિયલ ફિચર્સ
પહેલીવાર ઘરમાં ‘બાપ્પા’ને લાવી રહ્યા છો? તો આ મહત્વના નિયમો તમારે જાણવા જરૂરી છે
કાનુડાનો જન્મોત્સવ રંગેચંગે ઉજવ્યા બાદ હવે ‘બાપ્પા’ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે જો તમે પણ તમારા ઘરમાં આ વખતે ‘બાપ્પા’ને લાવવાના હોવ અને પહેલી જ વાર મૂર્તિ સ્થાપિત કરી રહ્યા હોવ, તો જાણી લો શું કરવું અને શું નહિ.
આગામી 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે અને 10 દિવસ સુધી સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાની ભક્તિમાં શ્રદ્ધાળુઓ તરબોળ રહેશે. ઘર ઉપરાંત અનેક લોકો ઓફિસમાં પણ મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારે મૂર્તિની સ્થાપના અંગેના આ વાસ્તુના નિયમો જાણવા જરૂરી છે.
- ઘર અથવા ઓફિસ જ્યાં પણ ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવા જઇ રહ્યા હોવ તે ઉત્તર પૂર્વની દિશા હોવી જોઇએ. ઇશાન ખૂણાની દિશામાં. એ પણ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે મૂર્તિનું મુખ પશ્ચિમ તરફનું હોય.
- ગણપતિ બાપ્પાની મૂર્તિ પ્રસ્થાપિત કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખી લેવું જોઇએ કે જે જગ્યાએ સ્થાપના કરવાની છે તે શુદ્ધ અને પવિત્ર હોય, વ્યવસ્થિત સાફ કરેલી હોય.
- મૂર્તિની સ્થાપના માટે મૂહુર્ત જોવું ખૂબ જરૂરી છે. હંમેશા શુભ મૂહુર્તમાં જ મૂર્તિની સ્થાપના કરો.
- એક વખત મૂર્તિ પ્રસ્થાપિત થઇ જાય પછી તેની દરરોજ સવારસાંજ પૂજા-આરતી કરવી, તેમજ ભોગ લગાવવો જોઇએ.
- મૂર્તિની સ્થાપના થઇ ગયા બાદ તેને ખસેડવી નહિ. ફક્ત વિસર્જન વખતે જ મૂર્તિ હટાવવી જોઇએ.
- ગણેશોત્સવના 10 દિવસ સુધી ઘરમાં માંસાહાર-આલ્કોહોલ લાવવા નહિ, જો શક્ય હોય તો લસણ અને ડુંગળી ખાવાનું પણ ટાળવું જોઇએ.