નાહુરનો આરઓબી 29 ફેબ્રુઆરીની મધરાતથી બંધ
મુંબઈ: મુલુંડ પશ્ચિમમાં મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર આવેલ નાહુર રેલ ઓવર બ્રિજ ફરી એકવાર 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ થઈ જશે જ્યારે બીએમસીના એસ વોર્ડ દ્વારા તેના વિસ્તરણ માટે ગર્ડરનું કામ શરૂ કરશે. જો બધુ યોજના મુજબ આગળ વળશે તો, નાહુર આરઓબીની એક બાજુ જૂન સુધીમાં લોકો માટે ફરીથી ખોલવામાં આવશે. નાહુર અને મુલુંડ વચ્ચેની મોટી ટ્રાફિક ભીડને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ, આ પ્રોજેક્ટની કિમત 72.56 કરોડ છે.
શુક્રવાર અને શનિવારે રાત્રે પણ બંને દિશામાં વાહનોની અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. ચાર ગર્ડર બેસાડવાના હોઈ, આમાંથી બે શુક્રવાર અને શનિવારે મધ્યરાત્રિએ ભાંડુપમાં આરઓબીની દક્ષિણ બાજુએ લોન્ચ કરવામાં આવ્યા હતા અને બે વધુ 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ નિર્ધારિત છે. શનિવારે રાત્રે, કોપરકર માર્ગના જંકશન પર બોમ્બે ઓક્સિજન નાલા ઉપર 15 મીટર લંબાઈના ચાર કોંક્રીટ ગર્ડર બેસાડયા હતા. રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કામ ચાલુ રહેશે. કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રાફિક વોર્ડન તૈનાત કરવામાં આવશે. આ પુલના વિસ્તરણ સાથે, વધારાની 10.5 મીટર પહોળાઈ સાથે વધારાની બે લેન ઉપલબ્ધ થશે, એમ બીએમસી અધિકારીએ જણાવ્યું હતું. ઉત્તર બાજુએ ગર્ડર લોન્ચ સહિતનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે, પરંતુ આરઓબીની ભાંડુપ બાજુ આ વર્ષે જૂન સુધીમાં ખુલશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.