INDIA Alliance: દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાતમાં AAP-Congress વચ્ચે Seat Sharing અંગે જાહેરાત, ભરૂચ સીટ અંગે મોટી જાહેરત
![politics: India alliance (India alliance) name enough? Inter-war over seat allocation...](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Opposition-leaders-in-Mumbai-PTI-_1693590656837-780x470.webp)
નવી દિલ્હી: INDIA ગઠબંધન હેઠળ સીટ શેરીંગ અંગે જાહેરાત કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ની આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક જ્યારે AAP તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા. મુકુલ વાસનિકે કહ્યું કે બેઠકોની વહેંચણી પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી અને તેના પર સર્વસંમતિ સધાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પાંચ રાજ્યોમાં સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર સીટો પર અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટી દિલ્હીના ચાંદની ચોક, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી બાકીની ચાર બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે બેઠકો આપી છે. AAPના ઉમેદવારો ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ પાર્ટી બાકીની 24 બેઠકો પરથી ચૂંટણી લડશે.
પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. ગોવામાં કોંગ્રેસ બંને સીટો પર જ્યારે કોંગ્રેસ ચંદીગઢની એક લોકસભા સીટ પર ચૂંટણી લડશે. હરિયાણામાં AAP લોકસભાની એક સીટ પર જ્યારે કોંગ્રેસ બાકીની 9 સીટો પર ચૂંટણી લડશે.
પ્રેસ કોન્ફરન્સ બાદ સૌરભ ભારદ્વાજે કહ્યું કે આસામમાં પણ સીટ વહેંચણી અંગે કોંગ્રેસ સાથે ચર્ચા ચાલી રહી છે.
દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓ ગુજરાતમાં AAP સાથે બેઠકોની વહેંચણી અંગે નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ટ્વીટ કરીને ગુજરાતની ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને આપવા પર નારાજગી વ્યક્ત કરી છે.
X પર પોસ્ટ કરીને મુમતાઝ પટેલે લખ્યું કે ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસને ન આપવી શકી એ બદલ હું માફી માંગુ છું. તેમણે વધુમાં કહ્યું, “આપણે સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવીશું. અમે અહેમદ પટેલની 45 વર્ષની મહેનતને વ્યર્થ નહીં જવા દઈએ.”